Tag Archives: Mobile

એલાર્મની આત્મકથા


જય એલાર્મ !

હા બરાબર જ (મેં લખ્યું અને) તમે વાંચ્યું છે, જય જલારામ કરતાં આપણા જીવનમાં જય એલાર્મનું ઘણું મહત્વ છે – આવું હું માનું છું.(બીજા સાથે આપણે શું લેવા-દેવા?)

એલાર્મને અગરબત્તી સાથે શ્રધ્ધાંજલિ

ટાઈટલ લખ્યું (અને ફોટો પાડ્યો) ત્યારે વિચાર એવો  હતો કે પહેલો પુરુષ એક વચનમાં માત્ર આ એલાર્મની જ આત્મકથાની પોસ્ટ લખવી પણ પછી ચૂંટણીમાં આચારસંહિતા લાગુ પડે એવી રીતે આપણે ખુદે જ ‘આ- ચાર’ (કે પાંચ-છ) સંહિતા લાગુ પાડીને પાટલી બદલી નાંખી!

એટલે આ બીજો કલોઝઅપ પણ લીધો –

ક્યુટ (એલાર્મનો) કલોઝઅપ અને કહાની

(એલાર્મ પીસ) જીવંત હતો ત્યારે અને અત્યારે નિર્જીવ-કંગાલ થઇ ગયો છે ત્યારનું એમ બન્ને રીતેનું  પી.એમ.(દરેક વખતે વડાપ્રધાન જ થોડાં હોય?) કરીયે તો –

આ એલાર્મ  અમારી બરબાદી શાદી વખતે જયશ્રીની ફેન્ડ દ્વારા ગિફ્ટ કરવામાં આવ્યો હતો. (હમારે જમાનેમે) જ્યારે ઘરે લેન્ડલાઇન અને મોબાઈલ ન હતા ત્યારે અને બહારગામ જવાનું હોય ત્યારે એનો ભરપુર ઉપયોગ થયો છે. ત્યારબાદ લેન્ડલાઇન આવી અને સાથે (ઓટોમેટિક) એલાર્મની સુવિધા આવી એટલે એને ‘વાપરતા’ થઇ ગયા. ત્યારબાદ તો કસકભાઈનું આગમન, અને પ્લે હાઉસ-સ્કૂલના હિસાબે રોજ એલાર્મની જરૂર પડતી પણ હવે તો મોબાઈલ આવી ગયા હતા એટલે એલાર્મ ક્યાંક ‘અવળા હાથે’ મૂકાઈ ગયો હતો. પણ દિવાળીની સાફ-સફાઈ દરમ્યાન શ્રીમતીજીનો હુકમ છૂટ્યો: “દર દિવાળીએ આ આડો આવે છે તો આને જવા દયો ને!”

મે કીધું: “મેઇડ ને આપી દઈએ તો?”

તો (સણસણતો?) જવાબ મળ્યો: “શું મંડાય પડ્યા છો? હવે મોબાઈલમાં એલાર્મ હોય તો આની શું ઉપયોગીતા? અને હા, આપણા કરતાં તો એના પાસે સારા મોબાઈલ હોય છે.”

સરવાળે એલાર્મનું શું કરવું એ પછી નક્કી કરવાનું નક્કી કરીને એના (બે) ફોટા પાડ્યા.

હા, તો

જેમ જીવનરથમાં બે પૈડા હોય છે એમ (ધડીયાળ અને) એલાર્મમાં પણ (મૂખ્ય)બે કાંટા હોય છે. [અમે બે ,અમારા એકનું સૂત્ર કદાચ આના પરથી જ આવ્યું હશે!] આ એલાર્મની જ વાત કરીયે છીએ એ મુજબ =

–         કંપનીનું નામ છે ‘જયકો’ અને મોડેલનું નામ ‘ક્યુટ’!

–         એમાં નાનો કાંટો તથા એલાર્મ ટાઈમની વાત કરીયે તો ‘૯’ પર છે, મતલબ કે ‘પત્ની’ના નવડા તો મળી ગયા છે.

–         પણ મોટો/ઢાંઢો કાંટો બિચારો ઉખડી ગયો છે પણ છે તો નાના કાંટાની ‘નજરમાં’ જ. એટલે છટકી શક્યો નથી, એમ તો કદાચ એકાદ વાર કાચ તોડવાનો  ‘નિષ્ફળ’ પ્રયાસ કર્યો હોય એવું પણ પ્રતિત થાય છે.

-*-*-*-*-*-*-

જનરલ એલાર્મની વાત કરું  તો – પહેલા હું  ખિસ્સામાં કામની યાદીની ચિઠ્ઠી રાખતો પણ મોબાઈલ આવ્યા ત્યારથી એલાર્મ/રીમાઈન્ડરનો આદિ (માનવ) થઇ ગયો છું. દરેકેદરેક વાતનું રીમાઈન્ડર મારા સેલમાં મળે.  ઓળખીતાઓ તો ત્યાં સુધી મજાક કરી લ્યે છે – તમે તો ‘પી પી’ માટે ય એલાર્મ રાખતા હશો નઈ? !

-*-*-*-*-*-*-

હવે થોડાં (નહિ  પણ ઘણા લાંબા) ફ્લેશબેકમાં જોઈએ તો અમે નાના હતા ત્યારે અમારા અભણ નાનીમાંને ઘડિયાળમાં જોતાં ન આવડતું પણ તેઓ  દિવસે પડછાયાથી અને રાત્રે ‘તારોળીયા’ અને નક્ષત્રથી ટાઈમ કહી દેતા જે પરફેક્ટ જ હોતો એ અમે કેટલીયે વાર ક્રોસ ચેક કર્યું છે.

ત્યારપછી જામનગર ભણવા (?!) ગયો, એલાર્મ લેવાની ત્રેવડ તો હતી નહિ ત્યારે મામાના દીકરા વિનુ રામાવત  પાસેથી એક ટ્રિક/સુટકો શીખ્યો કે સૂતાં પહેલા ઓશીકે ધીમેથી ત્રણ વાર માથું પછાડીને મનમાં ટાઈમ બોલવાનો એટલે એ ટાઈમે નિંદર ખુલી જ જાય, આ ભલે અત્યારે હસી કાઢીએ પણ આ (ત્યારે તો) કામ કરતુ જ, કદાચ ત્યારે બુદ્ધિમા અળવીતરાપણું ન હતું એટલે !

એ સંદર્ભમાં અત્યારનો પણ દાખલો લઈએ તો-

જેમ મોબાઈલ ન હતા ત્યારે બધાના ફોન નં. યાદ રહેતા, [દોસ્તો લોકો મને ગમે ત્યારે (ફોન કરીને !!) ફોન નં. પૂછતાં અને મોટાભાગે તેઓએ નિરાશ ન થવું પડતું. અને હવે નં તો જવા દયો, સીરીઝ પણ યાદ નથી હોતી! 😦 ] એવીરીતે આટલો બધો મોબાઈલ/રીમાઈન્ડરનો (મીસ/ઓવર) યુઝ કરવાની (કુ)ટેવ પડી છે તો પણ આજની તારીખે ય રોજ બપોરે ૧૫-૨૦ મિનિટ વામકુક્ષી બાદ ઓટોમેટીક ૪ કે વધુમાં વધુ ૪ ને પાંચે તો આંખ ખૂલી જ ગઈ હોય. અને એ પણ જોવા જેવું કે રવિવારે ન ખૂલે!!

-*-*-*-*-*-*-

જયશ્રીને રોજ સવારે સાડા પાંચે ઊઠવાનું હોઈ, રોજ રાત્રે પૂછે (મોબાઈલમાં) એલાર્મ બરાબર જ છે ને ? પણ આજ દી’ સુધીનો રેકોર્ડ છે કે એલાર્મ મેં કદી (બેડરૂમમાં)સાંભળ્યો નથી કેમ કે એ પાંચ-દસ મિનિટ પહેલા જ ઊઠી ગઈ હોય અને ‘બહાર’ જ એ બંધ કરી દે!

~ અમૃતબિંદુ ~

આપણે સૌ એ નોટીસ કર્યું હશે કે આપણે ત્યાં મહેમાન આવવાના હોય કે આપણે મહેમાન થવાના હોય (બહારગામ જવાના હોય) ત્યારે ગૃહિણીઓના દિમાગમાં એલાર્મ ‘સેટ’ થયેલો જ હોય. આ પર થી સ્ત્રીની બુદ્ધિ ક્યાં હોય છે એ ‘પુરુષો’એ (જો બુદ્ધિ હોય તો) વિચારવું રહ્યું !!

7 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

SMS = શિંદેને ‘મારો’ સંદેશ !


આપણે ત્યાં અક્કલ વેંચીને કે નાગાઈમાં Phd કરીને રાજકારણમાં આવનારની સંખ્યા કેટલી? એ નોંધવા જઈએ તો જિંદગી પૂરી થઇ જાય! છતાંપણ અમુક નામ રટીએ તો – લાલુપ્રસાદ, મુલાયમસિંહ, રાહુલ ગાંધી, કેશુ બાપ્પા, શરદ યાદવ, સુશીલ શિંદે, બેની પ્રસાદ & મેની મોર…… 😉

આપણે ત્યાં આમ પણ ગ્રાહક કે આમ આદમીની મરજી કે હક્ક  જેવી કોઈ ચીજ છે નહિ. મન પડે ત્યારે, મન પડે એ અને મન પડે એવા એવા ફતવા બહાર પડતા રહેતા હોય છે, એમાં અત્યારે તો માત્ર ‘મેસેજ’નું મુદ્દો જ પકડીએ અને એકસાથે મનમાં આવતા ઘણા બધા વિચારોનું વ્યવસ્થિત સંકલન તો નહિ પણ એમ જ રેન્ડમ તુક્કાઓ વેરું તો-

SMS , customer care & Mobile મારો પ્રિય સબ્જેક્ટ હોય એમ એ કેમ હું વારંવાર એને ઊઠાવું છું? આ પહેલા પણ આ વિશેની પોસ્ટ્સ –

https://rajniagravat.wordpress.com/tag/sms/

https://rajniagravat.wordpress.com/tag/mobile/

https://rajniagravat.wordpress.com/tag/customer/

પહેલા TRAI  ૫૦૦ અન લિમીટેડમાંથી ૧૦૦ લિમીટેડ મેસેજ કરાવે, સેલ્યુલર કંપનીઓ મેસેજ સંખ્યા કાપવામાં એનો અમલ કરે પણ એના માટે જે ચાર્જ વસૂલવામાં આવે છે એમાં કોઈ ફેરફાર નહિ! …… એમ તો ૧૦૦ના ૨૦૦ થયા એવું સાંભળ્યું હતું પરંતુ શાયદ આ મોબાઈલ કું. વાળા આવી વાતોથી બેખબર હોય શકે!

આ ડીંડવાણું ચાલ્યું અને કોઈ ઉહાપોહ ન થયો ત્યાં ભાદરવાના ભીંડાની જેમ શિંદે ‘સાયબ’ ખુરશી પર ચડી ગયા અને સાથે સાથે જે અફડાતફડી થઇ એમાં ‘અફવા’ માટે SMSને બકરી ઈદ ન હોવા છતાં પણ બલિનો બકરો બનાવી દેવામાં સફળ (!) થયા, અને દે દામોદર દાળમાં પાણીના અન્વયે લિમીટેડ SMSમાંથી હજુ લિમીટેડ (!!!!!) નું એલાન જારી કરી દેવામાં આવ્યું અને મોબાઈલ વાળા બિચારા ચિઠ્ઠીના ચાકર, એમણે ફટાફટ અમલ પણ કરવો પડેને?

જોવાનું એ છે કે આવી બધી પાબંધી કે ટેકનોલોજી પરની નશબંધી ઉપ્સ નશાબંધીનો વિરોધ કેમ ન થયો? ઘણાબધા કારણોમાં આ પણ હોય/છે-

૧ – આપણે વિરોધ કરતા શીખ્યા નથી, યા તો એને અપનાવી લઈએ જેમ પેટ્રોલ વગેરેનો ભાવ વધારો, યા તો પાછલા દરવાજેથી સોલ્યુશન !

૨ – એટલો ઉપયોગ લોકો નહિ કરતા હોય, જેટલો  સરકાર અને સમાજ સમજે છે.

આવા હાસ્યાસ્પદ અને ઘેલાસફ્ફા ફતવારૂપી નિયમોથી સમસ્યાનો ઉકેલ આવે એવું અકક્લમઠા સિવાય કોઈ કદાચ વિચારી પણ નહિ શકતું હોય.

અમેરીકામાં  9/11 વખતે જો આપણા સુશીલકુમાર જેવા અડબુથ્લ હોત તો એક ફ્લાઈટમાં નો મોર ધેન ફાઈવનો આદેશ આપી દેત ને?

અને જે લોકોએ ઉંબાડીયા કરવા જ છે એ શું માત્ર SMS પર જ ડીપેન્ડ રહે?

આ રીતે SMS  અને આપણને ‘બાન’માં ૧૫ દિવસ રાખ્યા બાદ બધું જ સમુસુતરું પાર ઉતરી જશે?

એમ તો હંમેશની જેમ પાકિસ્તાનનો હાથ (પંજો) છે એવી વાતો વહે છે તો શું આપણા shoeશીલ(!)  હવે આપણા એ ‘નાનાભાઈ; ને સમજાવી શકશે કે બેટા, અચ્છે બચ્ચે ઐસા નહિ કરતે!

~ અમૃતબિંદુ ~

મોબાઈલ ધારક એમ કહી શકે:

SMS(send-rcv કરવા)(મોબાઈલના) જન્મથી જ, જન્મસિધ્ધ અધિકાર છે!

2 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, Nation, politics, social networking sites

વેજ_નોનવેજ=ફરાળી


બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું જોવામાં બાધા નહિ રહે.

જય વસાવડાએ પણ લખ્યું છે કે તેઓ બિન્દાસ પોતાના ઘરમાં પોતાના મધરની હાજરીમાં “પ્લે બોય” નાં પન્ના ઉથલાવતા.

આવી આવી વાતો એટલે યાદ આવી રહી છે કે અમુક મિત્રો જે પહેલા નોન વેજ sms મોકલતા તેઓ હવે સુવિચારોના ઓવરડોઝ મોકલી રહ્યા છે. આ પાછળ શું કારણ હશે?

* હવે આ ઉંમરે આવું આવું મોકલીશું તો લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* બાળકો મોટા થઈ ગયા હોવાથી એમના હાથમાં મોબાઈલ આવી જાય અને જુવે તો બચ્ચે લોગ ક્યા સોચેંગે ? એવો દંભ/ડર  હશે ? !

* પૂરતી મજા માણી લીધી એટલે હવે એ બધું નિરર્થક લાગતું હશે?

* દિમાગમાં (બેકગ્રાઉન્ડમાં) ‘ઉમરીયા કટતી જાયે’ સંભળાતું હશે?

બીજી એક વાત કે નોન વેજમાંથી વેજ અને ખાસ તો શુદ્ધ(!) સાત્ત્વિક/ફરાળી sms શરૂ કરનાર males જ છે જ્યારે females તરફથી એ પ્રવાહ અવિતરત ચાલુ છે એટલે મને તો લાગે છે પુરુષોમાં દંભ અને ડર નો ભાવ સ્ત્રીઓ કરતા વધુ હાવી હશે .

અમૃત બિંદુ ~

અમિતાભને કોઈએ Non veg SmS અને અભિષેક વિશે કંઈક સવાલ કર્યો ‘તો એનો જવાબ:  “કભી કભી હમ એક-દુસરે કો  ફોરવર્ડ ભી કરતે હૈ !”

^  ક્યાંક વાંચ્યું/સાંભળ્યું  હતું, શબ્દશઃ યાદ નથી  

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

લાલ નંબર વાળા મોબાઈલ કૉલ્સ અને મીડિયાની મધલાળ !


મારી ઑફિસમાં કામ કરતો (ઑફિસ બૉયમાંથી ટેકનીશ્યન બનેલો) રમેશ મને કાલે પૂછતો  હતો; ” લાલ લાઈન વાલે નંબરસે મોબાઈલ પે કૉલ આયે તો એટેન્ડ નહી કરના  –  યે સહી બાત હૈ?”

મેં સમજાવ્યુ કે એવું કંઇ ન હોય … તું  ચિંતા ન કર.  તો એણે મને છાપામાં આવેલ કિસ્સા કહ્યાં (વરસો પહેલા શ્રી શાહબુદ્દિન રાઠોડ”બસ, છાપામાં ય આવી ગયું?! વાળી વાત કહેતા, આજે પણ  એ જ હાલત છે કે છાપામાં આવે એટલે વાત પૂરી! ) મેં મારી રીતે એના મનનું સમાધાન કરવા,  માસ  હિપ્ટૉનાઈઝ ને એવું બધું કહ્યું..પણ એના હાવ-ભાવથી લાગતું હતું કે  એ મારા વિશે મનમાં બોલી રહ્યો છે – આ માણસ કોઇ દી’ નહી સમજે!

-x-x-x-

આજે  લંચ ટાઈમમાં ઘરે ભૂલ ભૂલથી TV9 ચેનલ જોવાઈ ગઈ. તો એના પર તો “કૉલ નો કાળો કેર” કે એવા કોઇ સનસનાટી ભર્યા ટાઈટલથી ‘ક્રિયાકર્મ’ બતાવતા હતા જે આખો કિસ્સો આ મુજબ છે  –

વડોદરામાં એક વ્યક્તિ કે જેઓ જેલ સુપ્રિટેન્ડન્ટ છે, ગઈ કાલે સાંજે એમના વાઇફનાં મોબાઈલ પર કૉલ આવ્યો જે આ સાહેબે જોયો તો લાલ લાઈન વાળો નંબર ડિસ્પ્લે થતો હતો અને રીંગ ટૉન પણ એમના મોબાઈલમાં ન હતીં એવી વાગતી હતી, સાથે સાથે કૉલર ઇમેજ તરીકે કાર્ટૂન પણ ડિસ્પ્લે થતું હતું. એમના શબ્દોમાં, ” હું શિક્ષિત માણસ છું, એટલે મીડિયામાં આવતા અહેવાલથી વાકેફ હતો  અને કૉલ એટેન્ડ ન કર્યો.” આવું પૂનરાવર્તન થતું રહ્યું એટલે એમણે અડોશ-પડોશની સાથે સાથે TV9 વાળાને પણ પોતાને ત્યાં બોલાવી લીધા  અને (તેઓ આ ડેમોન્સ્ટ્રેશન આપી શકે એટલા માટે) ફરી ફરીને રીંગ વાગતી રહી! શિક્ષિત (એમના શબ્દો મુજબ) હોવાથી એ સાહેબશ્રી અમુક ટેકનીકલ (લાગે એવા) તર્ક રજૂ કર્યા

૧ – કોઇપણ ઈનકમીંગ રીંગ ૪૫ સેકન્ડ સુધી જ વાગે તો પછી આ કેસમાં ક્યારેક ૧૦-૨૦ થી કરીને એક કલાક જેટલી વાર રીંગ કેમ વાગે?

૨ – રીંગટૉન પણ એવો હતો કે જે એમણે સેટ કરવો તો દૂર પણ એમના ‘ડબલા’માં જ ન હતી !

૩ – લાલ લાઈન પણ કેમ આવી શકે અને કૉલર ઇમેજ તરીકે કાર્ટૂન ક્યાંથી આવ્યુ?!

TV9 વાળા લોકોમાં ડર ફેલાવવા અતિઉત્સાહિત હોય એમ એ સાહેબ ત્થા એમના શ્રીમતી એમ બન્નેનો ઇન્ટર્વ્યૂ લીધો, અલબત્ત એક જ પ્રકારનાં સવાલો સાથે.

મારી જેમ કોઇ અલેલ ટપ્પુ TV9 પર એકપક્ષિયનો ઇલ્ઝામ ન લગાવે એટલે એમણે એક સાયબર એક્ષ્પર્ટને પણ અમુક સવાલ કર્યા..પણ એ સવાલમાં આગળ પેલા ભાઈએ ઊઠાવેલ સવાલો જ ન પૂછ્યા! એ એક્ષ્પર્ટે છાતી ઠોકીને  આવી હમ્બંગ વાતનું ખંડન કર્યુ પણ આ એક્ષ્પર્ટની વાતને ખાસ મહત્વ આપવામાં આવ્યું નહીં એ ક્લીયર દેખાતું હતું ! !

-x-x-x-

આ ‘ક્રિયાકર્મ’ પત્યા પછી મેં ઑથેન્ટીક માહીતી માટે મારા (ભૂતપૂર્વ પાર્ટનર એવા) મિત્ર જવલંત ગોહેલને કૉલ  કર્યો, જવલંત પીજીવીસીએલમાં સર્વીસ કરે છે અને ડ્યુટી પતાવ્યા બાદ ઘરે રાતીજગો કરીને, ગાંઠનું ગોપીચંદન કરીને શોખથી (લોકો ઓરકુટ-ફેસબુક જેવી સોશ્યલ સાઇટ પર આંટા મારતા હોય છે એના બદલે) આ ભાઈ મોબાઈલ વિશેની કોઇ ફોરમમાં બહુ સારી રીતે એકટીવ રહીને કંઇને કંઇ પ્રદાન કરતો રહે છે.  એને કહેવું છે  કે –

*  હવે એ જમાનો નથી કે માત્ર મૉબાઈલ કે ફોનથી જ કૉલ થઈ શકે એટલે કોઇ તોફાની તત્વ “બગ” નો (ગેર)લાભ ઉઠાવીને કોમ્પ્યુટરમાંથી કૉલ કરતો હોવો જોઇએ.

* આવા સોફ્ટવેરની મદદથી તમે કંઇ પણ કરી શકો જેમ કે  તમારે કયો નં. ડિસ્પ્લે કરવો છે..કઈ રીંગ ટૉન અને સાથે સાથે કઈ ઈમેજ સે ન્ડ કરવી છે એ બધું જ કરી શકો.

* આ તત્વ પોતે જ કદાચ થોડા દિવસમાં પોતાને જાહેર કરશે અને શેખી મારશે કે  મેં આવું આવું કર્યું.

* વચ્ચે એવું પણ થતું હતું કે તમને જે મોબાઈલમાં કૉલ આવે એમાં તમારો ખુદનો નંબર ડિસ્પ્લે થાય! !

-x-x-x-

આટલીબધી પીંજણ પછી મને હરવખતની જેમ એ જ સવાલ ઊથે કે મીડિયાની સમાજ પ્રત્યે કોઇ જવાબદારી ખરી કે નહીં?  આપણે જોઇએ જ છીએ કે ક્યારેક કોઇ કુદરતી કે માનવ સર્જીત આપત્તી હોય અને એમાં મૃત્યુ  થયા હોય તો મીડિયા વાળ એ જાણે આંકડાની હરિફાઈ માંડી હોય એમ મન ફાવે એ રીતે ભરડતા હોય. મુંબઈ પર તાજ હુમલા વખતેની વાતો ય ક્યાં ભૂલાય એમ છે ? !

આ પહેલા પણ ઝી ન્યૂઝ તરફથી એક સવાલ પૂછાયો  હતો એની પોસ્ટ જોવા અહીં કલીક કરો.

~ અમૃત બિંદુ ~

વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે એમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતાથી વધુ ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઇ શકે.

આ વિચારસરણી સાચી હોય તો દુનિયામાં કેટલાં વર્તમાન પત્રો નભી શકે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામનું સાથેસાથે ચાલ્યા જ કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.

– સત્યના પ્રયોગો

9 ટિપ્પણીઓ

Filed under શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

બાન_તાલિબાન


અગાઉ મેં મોબાઇલ અંગે (વિરોધી કહી શકાય)  અમુક પોસ્ટસ લખેલી હતી (What an Idea , મોબાઈલ અને તેની માયા (ઝાળ) અને મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી? ) ત્યારે લખ્યું હતું એ ફરી એકવાર દોહરાવું  છું કે કદાચ કોઇ મને મોબાઈલ ટેકનોલોજીનો વિરોધી ગણશે, અને તાજેતરમાં બંધ વિશેની પોસ્ટ પછી આ “પ્રતિબંધ” વિશે પોસ્ટ પરથી તો…..

એની વે, સીધો જ ઘોડો દબાવું કે વાત એમ છે કે આજે સંદેશમાં મિત્ર લલિત ખંભાયતાની કવર સ્ટૉરી છે શાળામાં મોબાઈલ પ્રતિબંધ : ગૂમડું થાય તો આંગળી કપાય? એમનો ઉદ્દેશ કદાચ વાણી સ્વાતંત્ર્યની જેમ વ્યક્તિ સ્વાંતંત્ર્યનો હશે અને મારો પણ અહી એવો જ ઉદ્દેશ છે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો, એટલે કે એ મુદ્દે મારા વિચારો (અને એ પણ કોઇ જાતના પૂર્વગ્રહ વગર) રજુ કરવાનો.

મને ખબર નથી એ મિત્રએ લેખ લખતા પહેલા પરિપત્ર કે જેને તેઓ “ફતવો” માને છે (અને એ બહાર પાડનારને ફરમાની કાઢવાની શોખીન સરકાર માને છે! ) એ ફતવો/પરિપત્ર  એમને વાંચ્યો છે કે નહી પણ મેં તો આ પોસ્ટ લખતા પહેલાં વાંચ્યો છે. ઠરાવ ક્રમાંક:પરચ.૧૨૨૦૧૦/૧૮૫૪/વ.ર… તારીખ ૨૮/૭/૨૦૧૦ મુજબ – (સારા‍શ)

ધોરણ બાર સુધી અને (ધોરણ ૧૨ પછી પણ ) તમામ શાળાઓ-કોલેજમાં વિદ્યાર્થી,શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ તથા શાળાઓમાં આવતા વાલીઓ સહીતનાં મુલાકાતીઓ શૈક્ષણીક બાબત સાથે સંકળાયેલ  કોઇપણ જગ્યાએ મોબાઈલ વાપરી શકશે નહીં.

માન્યુ કે કોઇપણ જાતનો પ્રતિબંધ યોગ્ય તો  નથી જ ઉપરથી ઘણીવાર એ પ્રતિબંધની અવળી અસર પડે છે અને પ્રતિબંધ એ એક પ્રકારની બાલીશ અને આવા મિત્રોના મત મુજબ કહીયે તો તાલીબાની માનસિકતા કહેવાય પરંતુ દરેક પ્રતિબંધ કે નિયમ કે કાનૂનને આપણને ન ગમતી સરકાર હોય કે અમુક બુધ્ધિજનો આ સરકારને વાંક દ્રષ્ટિએ જૂવે એટલે એ અયોગ્ય જ હોય એમ માની લેવું એ પણ બૌધ્ધિકતાની નીશાની નથી.

* લેખમાં પણ જોઈ શકશો કે કોઇએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો નથી. અને જો કદાચ વાલીઓને પૂછ્યુ હોત તો ૯૭% થી પણ વધુ વાલીઓએ આ પ્રતિબંધની તરફેણમાં મત આપ્યો હોત

* બની શકે કે કાલ સવારે આ પ્રતિબંધ પર પણ પ્રતિબંધ યાને એના અમલીકરણ પર રોક આવે પણ એનાથી કોઇ એક પક્ષ ખોટો કે સાચો નથી પડી જતો… હા, મોબાઈલ કંપનીને ફરક જરૂર પડે કેમ કે અન્ય કસ્ટમર કરતા બાપના પૈસા એશ કરતા આવા મુરઘા કોને ન ગમે?!

* દલીલ એવી થઈ છે કે બાળક શાળાએ  હેમખેમ પહોંચ્યું કે નહિ એ વિશે મોબાઈલ ન હોય તો વાલીઓ કઈ રીતે જાણી શકે? શાળાએથી છૂટેલા બાળકને સ્કૂલની વાન લેવા ન આવી શકે કે રસ્તામાં ક્યાંક પાણીમાં વાન ફસાઈ જાય તો મોબાઈલ વગર બાળક વાલીને કઈ રીતે જાણ કરી શકે? ફિલ્મી-કોર્ટઅંદાજમાં કહું  તો મારા કાબિલ દોસ્ત પરિપત્રમાં પ્રતિબંધ મોબાઈલ સંકૂલમાં છે, અને એ પણ વાપરવા પર નહી કે સંકૂલની બહાર કે  મોબાઈલ લઈ આવવા પર . એટલે સંકૂલમાં પ્રવેશતા પહેલા અને નિકળ્યા પછી મોબાઈલનો ઉપયોગ કરી જ શકે છે. તેમજ મત્ર વિદ્યાર્થી પર જ આવો “ત્રાસ” નથી ગુજારવામાં આવતો એટલે ડૉન્ટ વરી,  બધા પર આ વાત નિયમ લાગુ પડે છે , હા પછી એ નિયમને કોણ નેવે મૂકી શકવાની શક્તિ ધરાવે છે એ અલગ વાત છે.

આ તો સરકારી વત હોય એટલે બોડી-બમણીનું ખેતર જાણી હર કોઇ આંગળી કરી શકે બાકી એવા અમુક પ્રતિબંધ ગણાવું જે કોઇને ગમતા નહી હોય તો પણ પાળવા અને જખ મારીને  પાળવા પડે છે કેમકે એ પ્રાયવેટ છે!

૧ –  હવે કોઇપણ નાની કે મોટી ઑફિસમાં જાવ, એ મંદિર હોય એમ પગરખા ઊતારીને જવું પડે છે, ભલે પછી આપણા સફેદ મોજા એની મેલી ફર્શ કે કારપેટથી બગડી જતાં!

૨ – મોબાઈલ તો કામ આવવા કરતા રૂકાવટ વધુ કરે છે જ્યારે નેટતો કોઇપણ ક્ષેત્રમાં કામ આવે તો પણ મોટાભાગની કંપનીએ પોતાના કામ સિવાયની સાઇટસ ને “બાન” કરેલ હોય છે.

૩ – અમારે ગાંધીધામમાં છે એમ અમુક સિનેમા ઘરોમાં પણ હવે મોબાઈલ-જામર લગાવે છે જેથી કરીને આપણે અને અન્ય લોકો શાંતિથી ફિલ્મની મજા માણી શકે.

૪ – MNC companies, standard Corporation House અને Foreign Banks (Indiaમાં  ) તેમજ ગાંધીધામ-કંડલામાં પણ ઘણી એવી કંપનીઓ છે જેઓના સંકૂલમાં મોબાઈલ પર પ્રતિબંધ છે! વિધાનસભામાં તો લલિતભાઈ આંટો મારી આવ્યા છે એટલે ત્યાં જામર છે એ તો એમને ખ્યાલ જ હોય એવું માની લવ છું.

બાકી લેખમાં “એમ તો આ પણ નિયમો છે! ” હેઠળ વાત કરી છે એ અંગે પણ લાગતા વળગતાએ વિચારવું જોઇએ જ એમાં ના નહી.

~ અમૃત બિંદુ ~

આ વખતે અમૃત બિંદુ પર ‘બાન’ છે. 😉

12 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

What an idea !


What an “ExcellenT” idea Sir jee ! !

સાક્ષર, દિવાળીના લવિંગયા,   મોબાઈલ અને તેની માયા (ઝાળ) તેમજ મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી વાળી પોસ્ટસ બાદ વધુ એક મોબાઈલ રીલેટેડ પોસ્ટ ! પણ ડોન્ટ વરી આ વખતે પોઝીટીવ વાત છે. કોઇપણ વ્યક્તિગત કે સંસ્થારૂપે પોતપોતાના ફિલ્ડમાં રહીને સમાજ/દેશ ને કેવે રીતે હેલ્પરૂપ થઈ શકે એવા ઘણા દાખલાઓમાંનો એક ….

ગઈકાલે મુંબઈ પરના 26/11નાં આતંકી હુમલાને  વરસી થઈ, એ કરૂણ ત્રાસદાયક દુર્ઘટનામાં કોઇને કોઇ રીતે સંકળાયેલા લોકોને શ્રધ્ધાંજલી અને સલામ.

હા, તો  છાપા-ચેનલ વાળાની જેમ હું પણ દાવો કરી શકું કે આપનો અવાજ છેક આઇડિયા-મેનેજમેન્ટ સુધી પહોંચી ગયો! કેમ કે દિવાળીના લવિંગયા પોસ્ટમાં મેં લખ્યું  હતું કે સ્પેશયલ ચાર્જ ની બદલે નોર્મલ ટેરીફ રાખે પણ 15મી ઑગસ્ટ કે 26મી જાન્યુઆરી વગેરે દિવસે કંઇક એવું કરવું જોઇએ કે આપણને ભલે ચાર્જેબલ એસ.એમ.એસ. પડે પરંતુ એમાંથી અમુક % દેશને આપે તો કેવું રહે? અને

જાણે કે આઇડિયા મેનેજમેન્ટ ને આપણો આઇડિયા ગમી ગયો હોય તેમ ગઈ કલે 26/11 ના આતંકી હુમલાની વરસી નિમિત્તે રાત્રે 8-36 થી 9-36 સુધીમાં જે કંઇ કૉલ્સ થાય એ બધું પોલીસ રાહત ફંડમાં આપશેની સરાહનીય જાહેરાત કરી હતી. હેટ્સ ઑફ આઇડિયા.

.

x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

.



મિત્ર  અજિત દવેના ફોર્વર્ડેડ મેઈલમાં આવેલ એક રચના પણ જોઇએ તો ….

માણસ જાણે મોબાઇલ થઈ ગયો

જરૂર જેટલી લાગણીઓ  રિચાર્જ કરતો થઈ ગયો

ખરે ટાણે ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સામે કોણ છે જોઈને સંબંધ રિસિવ કરતો થઈ ગયો

સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વીચ ઓફ કરતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આજે રીટા તો કાલે ગીતા એમ મોડેલ બદલતો થઈ ગયો

મિસિસને છોડીને મિસને  કોલ કરતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો

સાલું, થોડી રાહ જોઈ હોત તોએવું ઘરમાં યે કહેતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

હોય બરોડામાં અને છું સુરતમાં એમ કહેતો થઈ ગયો

આજે હચ તો કાલે રિલાયન્સ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

ઈનકમિંગ આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં કુટુંબનાં કવરેજ બહાર થઈ ગયો

હવે શું થાય બોલો મોડેલ ફોર ટુ ઝીરો થઈ ગયો

માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

.

.

( ‘આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો’  રચના અશ્વિન ચૌધરીની છે!

http://funngyan.com/download/ashvinchaudhari.jpg

-ઈશિતા, મુખવાસ, ‘ચિત્રલેખા’ ૫/૪/૨૦૧૦… સૌજન્ય – વિનય ખત્રી )

8 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના

મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી?


ડાયલ કરે દિલ સે ..

આ પહેલા મોબાઈલની માયા(ઝાળ) પોસ્ટ વાંચેલી હશે એમને થશે કે મોબાઇલ કંપની કે ટેકનોલોજી જોડે આ ભાઈને કંઇ તકલીફ હશે! એની વે,  હું તો મારું  (એટલે કે આ પોસ્ટ બનવવાનું) કામ આગળ ધપાવું તો –

 

ઘણા વખત પહેલા માર્કેટમાં એવો  SMS ફરતો કે અમુક દેશનાં લોકો અમુક જાતની શોધ માટે પોતાના દેશનાં વખાણા અને નામ કહેતા હતાં  અને એવામાં આપણો હિન્દુસ્તાની ભાયડો તો  હોય જ ને? એણે પણ પોરસાઈને કિધુ કે મીસ્ડ કૉલની શોધ અમે કરી!

એક જમાનો હતો જ્યારે 8 રૂપિયા ઇનકમીંગના અને 16 રૂપિયા આઉટ ગોઇંગના થતાં, ત્યારે કોઇનો ઇનકમીંગ કૉલ આવતો તો પણ “ફાટતી” એ અલગ વાત છે અને અત્યારે  આઉટ ગોઈંગનાં 20 પૈસાથી લઈ વધુમાં વધુ 60 પૈસા છે ત્યારે પણ લોકો મીસ્ડ કૉલ આપીને મગજ હટાવી દે ત્યારે ઉપરોક્ત જોક યાદ  કરીને ગુસ્સો હળવો કરી લેવો પડે કે સાલ્લું આજે પણ એ વાત એટલી પ્રસ્તુત છે એનો શ્રેય આવા લોકોને મળે છે.

સાથે સાથે થોડુ ફ્લેશબેકમાં પણ જઈએ જેમાં ખબર પડશે કે મીસ્ડ કૉલની માયા જાળ તો અમે પણ ફેલાવી હતી અને એ પણ મોબાઇલ આવ્યા પહેલા…. અમે દોસ્ત લોકો  એક બીજાને (ઘરની બહાર કે નીચે ) બોલાવવા લેન્ડ-લાઇનથી લેન્ડ-લાઇન પર થી મીસ્ડ કૉલ આપતા હતાં જે ને એ ટાઇમે ઘણા કટ રીંગના નામથી પણ જાણતા હશે, એ સમયે પી & ટી (અત્યારનું બીએસએન એલ ) માં કૉલર આઇ ડી જેવી સર્વીસ પણ ન હતી, એટલે અમે એક બીજાને નં આપેલા કે 1 વાર  રીંગ આવે તો ફલાણો અને 2 વાર આવે તો ઢીકણો .. આવી રીતે અમે લાભ લેતા પરંતુ આમાં ક્યાંય કોઇને નુકસાન ન થતું.

જ્યારે અત્યારે મને એટલા માટે દાઝ  ચડે કે આટલા કોલ દર ઓછા થઈ જવા છતાંપણ અમુક લોકો મીસ્ડ કૉલની મજા શા માટે લેતા હશે..અને મને ખાસ એટલા માટે વાંધો છે કે મારું કામ ઈપીએબીક્સનું છે, અમુક વખતે ટેલીફોન વાયરીંગ કરાવાનું હોય (અમે હવે એ કામ નથી કરતા) એટલે ઇલેક્ટ્રીશ્યન/વાયરમેનને  ડાયરેક્ટ કહી દઈએ કે તારે ફલાણી જગ્યાએ કામ કરવાનું છે,  હવે  જોવા જેવી વાત એ છે કે એ ભાઈ સાહેબ ત્યાં જઈને મને મીસ્ડ કૉલ મારે! ! ! ( ખાસ ચોખવટ કે હું ક્યારેય કોઇને આવા કામોમાં દલાલી/કમીશન આપતો નથી અને લેતો પણ નથી ) ગમે તેટલી વાર  આવા લોકોને “વાઢી”ને હાથમાં આપો કે એ’લા  મલાઈ તારે ખાવાની અને દુધ ગરમ કરવા મારો ગેસ વાપરવા આવે છે? તો યે એ લોકો ને હંમેશા નવે નાકે દિવાળી  હોય!

છેલ્લે છેલ્લે હજુ એક વાત કે તમે જોજો જગતમાં બે સમયએ વ્યક્તિ હંમેશા ઉતાવળમાં હોય –

1- મીસ્ડ કૉલ કર્યો હોય ત્યારે ….

2- ફાટક ખુલે ત્યારે….

12 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

મોબાઇલ અને તેની માયા(ઝાળ)


કાલે કસકને સાયન્સ એક્સ્પ્રેસ ટ્રેનમાં લઈ ગયો હતો, સરસ હતું પણ એ વાત કરવાની નથી (કેમ કે એ આપણી “લેન” નહી ને!) ટ્રેનમાં જે જોવા લાયક હતું એ જોવાની સાથે સાથે એ પણ જોયું કે માણસો પોતાની પત્ની ( કે ગર્લફે ન્ડ ?) થી તો પીછો છોડાવી શકે પણ મોબાઈલથી નથી છોડાવી શકતા! આ પ્રકારાના કોઇપણ કાર્યક્રમમાં ઑલરેડી પહેલાથી જ સૂચન કરેલ હોય છે કે મોબાઈલ બંધ રાખવા, પરંતુ આપણે લોકો કોઇપણ સૂચન કે કાયદાનું ન પાલન કરવાની જીદ લઈને બેઠા છીએ!

આ તો ઠીક કોઇપણ લોકો એ એવું ઉઠમણું કે પ્રાર્થના સભા જોઇ છે ? જેમા કોઇ મોબાઇલ રણક્યો ન હોય? મને ઘણી બધી વાતો નથી સમજાતી એમાંની આ એક છે કે આ લોકો શું એટલા બધા બિઝિ હશે? અને યા તો શું એમને મોબાઇલ ને સાયલન્ટ કરતા નહી આવડતું હોય? !

સાથો સાથ એક બીજી વાત પણ નોંધવા લાયક ખરીકે કોમ્યુ ના સાધનો વધવા સાથે કોમ્યુ ગેપ પણ ઘટવાની બદલે વધ્યો હોય એમ નથી લાગતું?

આટલી વાત સાથે વધુ એક વાત પણ કહી દેવી (મારા માટે) હિતાવહ છે કે હું કોઇ મોબાઇલ કે નવી ટેક્નોલોજીના વિરોધનો ઝંડો ફરકાવનાર ફકીર નથી.

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના