સરદારસિંહ રાણા ! (૧૦-૦૪-૧૮૭૦_૨૫-૦૫-૧૯૫૭)
આ નામમાં જ કંઈક એવું ચુંબકીય તત્ત્વ લાગ્યું કે જ્યારથી ડૉ.શરદ ઠાકર લિખિત સિંહપુરુષ વાંચી ત્યારથી એ નામ પર આદર અને ગર્વની લાગણી અનુભવાતી હતી. ત્યારબાદ પાક્કું યાદ નથી પણ લગભગ વિષ્ણુ પંડ્યા લિખિત #ઉત્તિષ્ઠ_ગુજરાત માં પણ આ નામ વાંચ્યું અને ત્યારબાદ અહીં ગાંધીધામમાં ક્ષત્રિયોનો એક કાર્યક્રમ હતો ત્યાં પણ આ નામ જાણ્યું… એ દરમ્યાન મિત્ર પૃથ્વીરાજ રાણા અને યોગરાજસિંહ ઝાલાની સાથે અનુક્રમે કોમેન્ટ અને વાતચીતમાં આમના વિશે સાંભળ્યું છે.
આ વિશે ગઈકાલે મેહૂલભાઈની fb પોસ્ટ તેમજ નકુલસિંહ ગોહિલની બ્લોગ પોસ્ટ વાંચી અને આજે સરદારસિંહ રાણાની પૂણ્યતિથી પર ફરીથી સ્વામી સચ્ચિદાનંદની “શહીદોની ક્રાંતિગાથા”માં સરદારસિંહ રાણાનું પ્રકરણ વાંચ્યું. એમાંથી અમુક અંશો –
- રાણા લીંબડી તાલુકાના કંથારિયા ગામના વતની હતા. તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે ગાંધીજી પણ માથે પાઘડી બાંધીને તેમની સાથે ભણવા આવતા. પછી મુંબઈ ઉચ્ચ શિક્ષણ માટે ગયા. મુંબઈથી પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા. અહીનું શિક્ષણ પૂરું કરીને લીંબડીના દરબારની સલાહ અને મદદથી બાર એટ-લો થવા માટે લંડન ગયા…… વકીલ થવાની જગ્યાએ તેઓ હીરાના વ્યાપારી થઇ ગયા.
- રાણાને શ્યામજી કૃષ્ણવર્મા મળ્યા. શ્યામજી લંડનમાં બેઠા બેઠા આવનાર વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ધારામાં દોરતા રહ્યા.
- રાણા પોલેન્ડ, તુર્કસ્તાન વગેરે દેશોમાં ગયા અને બોમ્બ બનાવવાની પદ્ધતિ શીખી લાવ્યા.
- કર્નલ વાયલીને ઠાર મારનાર મદનલાલ ઢીંગરાને પિસ્તોલ પૂરી પાડનાર રાણા જ હતા.
- 1907માં તેઓ જર્મની ગયા અને આંતરરાષ્ટ્રીય સમાજવાદી સભામાં ભાગ લીધો. રાણાની પ્રેરણાથી જ મેડમ કામાએ પ્રથમવાર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. (નકુલસિંહની બ્લોગ પોસ્ટ રેફરન્સ મુજબ – આ ત્રિરંગો આજે પણ રાજુભાઇ રાણા સાહેબે સાચવી રાખેલો છે.) તેમની પ્રવૃત્તિથી બ્રિટીશ સરકાર સાવધાન થઈ ગઈ હતી. તેમને પકડવા વોરન્ટ કાઢવામાં આવ્યું. …..અંગ્રેજ સરકારે વોરન્ટ તો કાઢ્યું પણ રાણા ફ્રેંચ નાગરિક હોવાથી પકડી ન શકાયા.
- પણ વાતાવરણ બદલાયું….બ્રિટનના દબાણથી રાણાની ધરપકડ થઇ અને છેક મધ્ય અમેરિકામાં પનામા પાસેના માર્ટેનિક ટાપુ ઉપર દેશનિકાલ કરાયા. આંદામાન જેવો આ ટાપુ હતો.
- રાણા નોકરી-રોજી માટે ફાંફા મારવા લાગ્યા. છેવટે કશું ન મળ્યું તો ઢોરો ચરાવવાનો ધંધો કરવા માંડ્યો. હા, હીરાનો વ્યાપારી હવે ઢોરો ચરાવવા મંડ્યો. આને તકદીર કહેવાતું હશે !
- રાણાની રાત વીતી ગઈ. સવાર થયું. ફરી ફ્રાંસ આવ્યા અને હીરાનો ધંધો કરવા લાગ્યા.
- બીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળ્યું.
- જર્મનો ધસમસતા ફ્રાંસમાં આગળ વધવા લાગ્યા. રાણા જર્મનોના હાથે પકડાયા, પણ ગદ્દારી કરીને તેમણે મદદ કરવાની ના પાડી. રાણા ફ્રેંચ નાગરિક હતા. પોતાના દેશને દગો ન કરાય. એમના વલણથી નાઝીઓ નારાજ થયા અને તેમને ગેસચેમ્બરવાળા કેમ્પમાં દાખલ કરી દીધા.
- ……રાણા હવે ગૂંગળાઈને મરવાની રાહ જોવા લાગ્યા. પણ ના, હજી તેમને જીવવાનું હતું. નેતાજી સુભાષ જર્મની આવ્યા. તેમણે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રાણાને કેમ્પમાંથી છોડાવ્યા. ….. ફ્રેંચ સરકારે રાણાની કદર કરી, (ગદ્દારી ન કરવા બદલ) ફ્રેંચ સરકારે રાણાને ‘ફ્રેંચ લિજિયન ઓફ ઓનર’નું સન્માન આપ્યું.
- રાણાએ ૧૯૪૭ની આઝાદી જોઈ, ‘સંતોષ થયો.’ પણ થોડા જ સમયમાં તેમને લકવો લાગી ગયો.
- અંતે વેરાવળના દરિયાકિનારે તેમણે જીવનલીલા સંકેલી લીધી.
- મને ખબર નથી કે આ મહાન સપૂતની પ્રતિમા તેમના વતન કંથારિયામાં, લીંબડીમાં કે અન્ય કોઈ જગ્યાએ મુકાઈ છે કે નહિ. ન મુકાઈ હોય તો આપણે લાજી મરવું જોઈએ, ને હજી પણ લોકો જાગે અને પ્રતિમા મૂકવાની ઈચ્છા થાય તો મારો સંપર્ક સાધો. આપણે બધા મળીને તેમનું ભવ્ય સ્મારક બનાવીએ.(તા=૦૪-૦૫-૨૦૧૦)
~ અમૃતબિંદુ ~
તારીખ, ઈતિહાસ , માહિતી વગેરે માટે આપણી બેદરકારી અને અરાજકતા હોય છે એવું કેટલીય વાર લખી/કહી ચુક્યો છું. ઉપરોક્ત માહિતી કે દોષમાં તથ્યોમાં વિસંગતતા કે ભૂલ હોય શકે કેમ કે આપણે લીમીટેડ સોર્સથી જ ચલાવવું પડતું હોય છે. (દા.ત. અમુક જગ્યાએ રાણા સાહેબની જન્મ તારીખ ૧૦ છે અને અમુક જગ્યાએ ૧૧ છે !)
સરદારસિંહ રાણાને સાદર શત શત નમન