ગાંધીધામમાં પુસ્તક મેળો


“આપણી ઈંગ્લીશ ઘેલી માનસિકતાને લીધે ગુજરાતી ભાષા મરવા પડી છે.”

“અત્યારની પેઢી મોબાઈલમાં જ ગૂંચવાયેલી અને ઓતપ્રોત રહે છે.”

“ગાંધીધામમાં બસ લોકોને રૂપિયામાં કમાવામાં જ રસ છે.”

“બાળકોને બસ મોબાઈલ ગેમ્સ અને ટીવીમાં જ રસ છે.”

“વાંચવું છે એ લોકો પાસે પણ ટાઈમ જ ક્યાં?”

“લોકોને વાંચવામાં રસ જ નથી.”

“ચાળીસ-પચાસ ઉંમરની આસપાસ કે ઉપર વાળા મુનશી-મેઘાણી-બક્ષી-અશ્વિની ભટ્ટ-હરકિસન મેહતા-ગુણવંત આચાર્ય-નગીનદાસ સંઘવી-ગુણવંત શાહ-કાંતિ ભટ્ટ-તારક મેહતા-વિનોદ ભટ્ટને જ ઓળખે છે અને સાચવી બેઠા છે.”

“ચાળીસ-પચાસ ઉંમરની નીચે વાળો વર્ગ ધ્રુવ ભટ્ટ,  કાજલ ઓઝા, જય વસાવડા, ડૉ. શરદ ઠાકર, ધૈવત ત્રિવેદી, ઉર્વિશ કોઠારી, શિશિર રામાવત, કિન્નર આચાર્ય, અશોક દવે, સાંઈ રામ જેવાને જ ઓળખે છે.”

^ ઘણા લોકોની સાથે અમારી પણ આ અને આવી બીજી કેટલીયે માન્યતાઓ  હતી.

પણ રવિવાર,  તારીખ ૨૩ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ અમુક  સ્થાનિક લેખકો અને કવિયત્રીનાં હસ્તે જ્યોત પ્રગટાવી ‘પુસ્તક મેળો’ ખુલ્લો મુકાયો ત્યારે અમને એવો અંદાજ હતો કે રવિવાર હોવાથી લોકો આરામથી ૧૧ – ૧૨ પછી  આવવાનું શરુ કરશે. પરંતુ અમારી એ કે એ સિવાય ઉપર દર્શાવેલી બધી ધારણાઓનો ભુક્કો બોલાવતી ભીડ થઇ અને સાડા નવ આસપાસ દીપ પ્રાગટ્ય વખતે જ લોકો આવી ગયાહતા. અને ત્રણ-ચાર કલાકમાં તો ચપાચપ ૭૦% આસપાસ પુસ્તકો ઉપડી ગયા! ઉત્સાહ અને ખુશીથી અમે સૌ અભિભૂત થઇ ગયા અને ‘અનબિલીવેબલ’ , ‘અનએકસપેકટેડ’ જેવા અંગ્રેજી શબ્દોએ દિમાગમાં પક્કડ જમાવી. એમ લાગ્યું કે છ વાગ્યા સુધીનો સમય રાખ્યો એ પહેલા જ વાવટા વિટાઈ જશે. તેમજ ત્રણ-ચાર પછી જેઓ આવશે એમને શું જવાબ આપીશું અને એમને એમ લાગશે કે પુસ્તકો જ નહોતા! એટલે અમુક મિત્રો કે જેઓ ૧૫-૨૫-૫૦ થી વધુ પુસ્તકોની ખરીદી કરી હતી, એમને વિનંતી કરીકે  એક કામ કરો, તમે લીધેલ આ પુસ્તકોનો ફોટો પાડી WA કરી દો. તમને આ પુસ્તકો અત્યારે નહિ પણ બે-પાંચ દિવસમાં ફરી સહજાનંદમાં જઈને લઈને આપીશું. અને એ મિત્રો ખુશી ખુશી સહકાર આપ્યો. તો બીજા લોકો પણ ‘બુકિંગ’ કરાવવા લાગ્યા!

આમ પુસ્તક મેળાનું સરવૈયું કાઢીએ તો અમે સાડા ત્રણ લાખ ઉપરાંતની વેચાણકિંમતના જે ડિસ્કાઉન્ટ બાદ લગભગ પોણા બે લાખની કિંમતના  બે હજારથી વધુ પુસ્તકો લઇ આવ્યા હતા એમાંથી એક સો આસપાસ જ વધ્યા અને જે બુકિંગ થયું એની એન્ટ્રી હજુ ચાલુ છે પણ ત્રણસોની ઉપરનો આંકડો તો અત્યારે જ થઇ ગયો છે.

                                           -x-x-x-x-x-

ભારત વિકાસ પરિષદ દ્વારા એવો નિર્ણય લેવાયો કે જે કાંય આર્થિક રોકાણ અને ખર્ચ થાય એ કરીને ગાંધીધામમાં એક પુસ્તક મેળાનું આયોજન કરીએ. અને એમાં મેનેજમેન્ટ તેમજ પ્રચાર-પ્રસાર વગેરે માટે આ પ્રકારનો અનુભવ અને ઉત્સાહ ધરાવનાર ‘પુસ્તક પરબ’ નો સાથ મળ્યો. તો સાથે સાથે ભુજ ખાતે સુપ્રસિદ્ધ સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ તરફથી પણ ઉત્સાહ વર્ધક વાત આવી કે જેટલા પુસ્તક જોઈએ એટલા લઇ જાઓ. બધાનું પેમેન્ટ કરવું પણ જરૂરી નથી અને સામાન્યતઃ રવિવારે રજા હોવા છતાં માત્ર આ કાર્ય માટે રવિવારે પણ ખોલીશું. તો સાથે સાથે હોટેલ કંડલા ઇન્ટરનેશનલ જેવી કોમર્શીયલ પેઢી હોવા છતાં એમણે પુસ્તક મેળાના દિવસે હોલ તેમજ એ અગાઉ મીટીંગ તેમજ પુસ્તકો રાખવા માટે સ્ટોરેજની વ્યવસ્થા અને ચાય-પાણીની વ્યવસ્થા માટે પણ એક પણ પૈસો ન લીધો!

બસ, પછી તો આમ એકાદ મહિનો અને છેલ્લા દસ-બાર દિવસથી તો બધા લોકો પોતપોતાની રીતે યોગદાન આપતા રહ્યા અને એકબીજાના ઉત્સાહથી ઉત્સાહ બેવડાતો રહ્યો.

Book Fair in Gandhidham

‘પુસ્તક પૂરબ’ બાબતે વાત કરીએ તો ગાંધીધામમાં ડીસેમ્બર 2014ની સાલથી દર મહિનાના પહેલા રવિવારે ગોપાલપુરીનાં મેઈન ગેટ પાસે સવારે સાત થી નવ વચ્ચે ‘પુસ્તક પરબ’ યોજાય છે. ત્યાં રહેલ પુસ્તકોમાંથી કોઇપણ વ્યક્તિ પુસ્તકો લઇ જઈ શકે છે. વાંચીને આપી જાય એવો પણ કોઈ આગ્રહ નહિ. અને એ પણ નિ:શુલ્ક!  આ ચાર વર્ષ દરમ્યાન પુસ્તક પરબના પચાસ મણકા  યોજાઈ ગયા છે. એમાં ૨૧૦૦૦ જેટલા પુસ્તકોનું આદાનપ્રદાન થયું છે. આ ‘પુસ્તક પરબ’માં પુસ્તકો ક્યાંથી આવે? તો લોકો અલગ અલગ પ્રસંગ જેમ કે  જન્મ દિવસ, પૂણ્યતિથી, એનીવર્સરી કે અન્ય કોઈ ઇવેન્ટ નિમિત્તે પુસ્તક પરબને પુસ્તકો આપે છે એનાથી આ આયોજન થાય છે. લોકોને આગ્રહ છે કે આપણે કે આપણા સર્કલમાં આવી કોઈ ઇવેન્ટ હોય તો શક્ય હોય તો પુસ્તક પરબમાં પુસ્તકો આપીએ, જેથી વધુમાં વધુ લોકો સુધી એ પહોંચી શકે. એના માટે 99984 67291 પર સંપર્ક કરી શકો છો.

~ અમૃતબિંદુ ~

આ બ્લોગમાં એક વસ્તુની નોંધ કરજો કે અહીં કોઈનો  નામજોગ ઉલ્લેખ કર્યો નથી. પછી ભલે તે પ્રમુખ હોય, સેક્રેટરી હોય, લેખક હોય કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે અન્ય કોઈ હોય. કેમ કે આવા આયોજનો આવા  બધા ભારને નીચે મુકીને સહિયારી રીતે જ થતા હોય છે.

4 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

સરદારસિંહ રાણા


સરદારસિંહ રાણા ! (૧૦-૦૪-૧૮૭૦_૨૫-૦૫-૧૯૫૭)

આ નામમાં જ કંઈક એવું ચુંબકીય તત્ત્વ લાગ્યું કે જ્યારથી ડૉ.શરદ ઠાકર લિખિત સિંહપુરુષ વાંચી ત્યારથી એ નામ પર આદર અને ગર્વની લાગણી અનુભવાતી હતી. ત્યારબાદ પાક્કું યાદ નથી પણ લગભગ વિષ્ણુ પંડ્યા લિખિત #ઉત્તિષ્ઠ_ગુજરાત માં પણ આ નામ વાંચ્યું અને ત્યારબાદ અહીં ગાંધીધામમાં ક્ષત્રિયોનો એક કાર્યક્રમ હતો ત્યાં પણ આ નામ જાણ્યું… એ દરમ્યાન મિત્ર પૃથ્વીરાજ રાણા અને યોગરાજસિંહ ઝાલાની સાથે અનુક્રમે કોમેન્ટ અને વાતચીતમાં આમના વિશે સાંભળ્યું છે.

આ વિશે ગઈકાલે મેહૂલભાઈની fb પોસ્ટ તેમજ નકુલસિંહ ગોહિલની બ્લોગ પોસ્ટ વાંચી અને આજે સરદારસિંહ રાણાની પૂણ્યતિથી પર ફરીથી  સ્વામી સચ્ચિદાનંદની “શહીદોની ક્રાંતિગાથા”માં  સરદારસિંહ રાણાનું પ્રકરણ વાંચ્યું. એમાંથી અમુક અંશો –

  • રાણા લીંબડી તાલુકાના કંથારિયા ગામના વતની હતા. તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે ગાંધીજી પણ માથે પાઘડી બાંધીને તેમની સાથે ભણવા આવતા. પછી મુંબઈ ઉચ્ચ શિક્ષણ  માટે ગયા. મુંબઈથી પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા. અહીનું શિક્ષણ પૂરું કરીને લીંબડીના દરબારની સલાહ અને મદદથી બાર એટ-લો થવા માટે લંડન ગયા…… વકીલ થવાની જગ્યાએ તેઓ હીરાના વ્યાપારી થઇ ગયા.

 

  • રાણાને શ્યામજી કૃષ્ણવર્મા મળ્યા. શ્યામજી લંડનમાં બેઠા બેઠા આવનાર વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ધારામાં દોરતા રહ્યા.

 

  • રાણા પોલેન્ડ, તુર્કસ્તાન વગેરે દેશોમાં ગયા અને બોમ્બ બનાવવાની પદ્ધતિ શીખી લાવ્યા.

 

  • કર્નલ વાયલીને ઠાર મારનાર મદનલાલ ઢીંગરાને પિસ્તોલ પૂરી પાડનાર રાણા જ હતા.

 

  • 1907માં તેઓ જર્મની ગયા અને આંતરરાષ્ટ્રીય સમાજવાદી સભામાં ભાગ લીધો. રાણાની પ્રેરણાથી જ મેડમ  કામાએ પ્રથમવાર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. (નકુલસિંહની બ્લોગ પોસ્ટ રેફરન્સ મુજબ  – આ ત્રિરંગો આજે પણ રાજુભાઇ રાણા સાહેબે સાચવી રાખેલો છે.) તેમની પ્રવૃત્તિથી બ્રિટીશ સરકાર સાવધાન થઈ ગઈ હતી. તેમને પકડવા વોરન્ટ કાઢવામાં આવ્યું. …..અંગ્રેજ સરકારે વોરન્ટ તો કાઢ્યું પણ રાણા ફ્રેંચ નાગરિક હોવાથી પકડી ન શકાયા.

 

  • પણ વાતાવરણ બદલાયું….બ્રિટનના દબાણથી રાણાની ધરપકડ થઇ અને છેક મધ્ય અમેરિકામાં પનામા પાસેના માર્ટેનિક ટાપુ ઉપર દેશનિકાલ કરાયા. આંદામાન જેવો આ ટાપુ હતો.

 

  • રાણા નોકરી-રોજી માટે  ફાંફા મારવા લાગ્યા. છેવટે કશું ન મળ્યું તો ઢોરો ચરાવવાનો ધંધો કરવા માંડ્યો. હા, હીરાનો વ્યાપારી હવે ઢોરો ચરાવવા મંડ્યો. આને  તકદીર કહેવાતું હશે !

 

  • રાણાની રાત વીતી ગઈ. સવાર થયું. ફરી ફ્રાંસ આવ્યા અને હીરાનો ધંધો કરવા લાગ્યા.

 

  • બીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળ્યું.

 

  • જર્મનો  ધસમસતા ફ્રાંસમાં આગળ વધવા લાગ્યા. રાણા જર્મનોના હાથે પકડાયા, પણ ગદ્દારી કરીને તેમણે મદદ કરવાની ના પાડી. રાણા ફ્રેંચ નાગરિક હતા. પોતાના દેશને દગો ન કરાય. એમના વલણથી નાઝીઓ નારાજ થયા અને તેમને ગેસચેમ્બરવાળા કેમ્પમાં દાખલ કરી દીધા.

 

  • ……રાણા હવે   ગૂંગળાઈને મરવાની રાહ જોવા લાગ્યા. પણ ના, હજી તેમને  જીવવાનું હતું. નેતાજી સુભાષ જર્મની આવ્યા. તેમણે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રાણાને કેમ્પમાંથી છોડાવ્યા. ….. ફ્રેંચ સરકારે રાણાની કદર કરી, (ગદ્દારી ન કરવા બદલ) ફ્રેંચ સરકારે રાણાને ‘ફ્રેંચ લિજિયન ઓફ ઓનર’નું સન્માન આપ્યું.

 

  • રાણાએ ૧૯૪૭ની આઝાદી જોઈ, ‘સંતોષ થયો.’ પણ થોડા જ સમયમાં તેમને લકવો લાગી ગયો.

 

  • અંતે વેરાવળના દરિયાકિનારે તેમણે જીવનલીલા સંકેલી લીધી.

 

  • મને ખબર નથી કે આ મહાન સપૂતની પ્રતિમા તેમના વતન કંથારિયામાં, લીંબડીમાં કે અન્ય કોઈ જગ્યાએ મુકાઈ છે કે નહિ. ન મુકાઈ હોય તો આપણે લાજી મરવું જોઈએ, ને હજી પણ લોકો જાગે અને પ્રતિમા મૂકવાની ઈચ્છા થાય તો મારો સંપર્ક સાધો. આપણે બધા મળીને તેમનું ભવ્ય સ્મારક બનાવીએ.(તા=૦૪-૦૫-૨૦૧૦)

 

~ અમૃતબિંદુ ~

તારીખ, ઈતિહાસ , માહિતી વગેરે માટે આપણી બેદરકારી અને અરાજકતા હોય છે એવું કેટલીય વાર લખી/કહી ચુક્યો છું. ઉપરોક્ત માહિતી કે દોષમાં તથ્યોમાં વિસંગતતા કે ભૂલ હોય શકે કેમ કે આપણે લીમીટેડ સોર્સથી જ ચલાવવું પડતું હોય છે. (દા.ત. અમુક જગ્યાએ રાણા સાહેબની જન્મ તારીખ ૧૦ છે અને અમુક જગ્યાએ ૧૧ છે !)

સરદારસિંહ રાણાને સાદર શત શત નમન

1 ટીકા

Filed under ગુજરાત_ગુજરાતી, Nation, politics, Reading

ગુજરાત અને ગુજરાતી “માન”_”સિક”તા


લગભગ ૩૦-૩૨  વરસ પહેલા અભિયાનમાં ચંદ્રકાંત બક્ષીની #વિકલ્પ કૉલમમાં એક લેખ વાંચ્યો હતો. કેટલીયે વાર એ લેખ યાદ આવ્યો છે પણ હજુ સુધી મળ્યો નથી એટલે વિગતમાં ભૂલ હોય શકે પણ થોડું ઘણું સ્મૃતિમાં છે એ મુજબ એમાં એવું કંઈક હતું કે કોઈ અંગ્રેજી મીડિયા પર્સને સ્પોર્ટ્સ વિશે અને (કદાચ સ્વિમિંગ બાબતે) કોઈ ગુજરાતી દીકરી એ સિદ્ધિ પ્રાપ્ત કરેલી, તો “મણીબેન” નું લેબલ ચિપકાવીને ઉપહાસ જેવું કૈક હતું. બક્ષીએ એ અનુસંધાનમાં લેખની શરૂઆત કરી  #ડોબું શબ્દ લખીને અને ત્યારબાદ ડોબુંનો અર્થ ટાંકીને કહ્યું હતું કે આવા ડોબાઓને ભાન નથી હોતી અને ગુજરાતીઓ વિશે ઘસાતું લખતા રહે છે અને કદાચ ગુજરાતી દીકરીઓએ કેવી કેવી સિદ્ધિ હાંસિલ કરેલ છે એનું એક આખું લીસ્ટ આપ્યું હતું. અત્યારે આ પોસ્ટનો વિષય બીજો છે પણ ઘણા મહિનાઓથી જેના વિશે સેપરેટ બ્લોગ પોસ્ટ લખવાનું મન છે એ ૧૫ વરસની આશાના ચેવલી પણ યાદ આવે છે કે જે ગુજરાતની એક માત્ર દીકરી છે જે ડાઈવીંગ ચેમ્પિયન છે. કેટલાય  પરંતુ ટીપીકલ સરકારી (અ)નીતિનિયમોમાં અટવાયેલા છે એ અને એની માતા સેજલ ચેવલી. એણે મેળવેલ કેટલાય મેડલ્સ/સિદ્ધિઓ વિશે ખબર નહી ક્યારે પોસ્ટ લખી શકું?!

અત્યારે મનમાં જે મુદ્દો છે એ અખિલેશ યાદવ અને આઝમ ખાન જેવાઓએ કોઈને કોઈ રીતે ગુજરાતીઓનાં બહાને મોદીને ટાર્ગેટ કરેલ છે એ છે. ( ચોખવટ -હું મોદી/ભાજપ/હિંદુ પ્રેમી હોવા છતાં પણ કહું છું કે અત્યારે  આ મુદ્દો રાજકીય રીતે નથી ઉઠાવ્યો.)

ગુજરાતીઓને અલગ અલગ રીતે ફટકારવા, ધુત્કારવા અને ઉપહાસ કરવામાં શું કામ આવે છે? અને એવું નથી કે એ માત્ર ગુજરાત બહારના કે અ_ગુજરાતીઓ જ આવું કરે છે. આવું કરવા માટે એમને સીધી કે આડકતરી રીતે મદદ કરવામાં આવે છે. એક તો એ રીતે કે આવા તત્ત્વો જયારે જ્યારે આવા કોઈ વિધાન કરે એને સીધો ટેકો આપવા વાળા (કહેવાતા) બુદ્ધિજીવી પડ્યા છે અને બીજા એવા પણ હોય કે જેઓ કહે: જવા દયોને યાર! આવી માથાકુટમાં કોણ પડે? “માથાકુટમાં કોણ પડે”  કહેવા વાળા પાછા  (ના)ગુ.સમાચારે  બનાવેલ હલકટ હેડલાઈનના વિરોધ કરવા વાળાનો વિરોધ કરવા તરત જ પોતાના (શસ્ત્રો નહી પણ) અસ્તરો સજાવીને હજામત કરવા ઉતરી જતાં હોય છે.

બધા મીડિયા આવા નથી જ હોતા એ સ્વીકાર સાથે કહેવું પડે કે પોસ્ટની શરૂઆતમાં #બક્ષી નાં જે લેખનો ઉલ્લેખ કર્યો એ પણ ( #અભિયાન )મીડિયામાં જ છપાયો હતો અને હમણાં અખિલેશ દ્વારા “ગુજરાતી શહીદ” વિશે જે વાત કરી એ મુદ્દો પણ ( #સંદેશ ) મીડીયાએ જ ઉઠાવાયો છે એ સાદર નોંધ પણ લેવી જ ઘટે.

પણ સાથોસાથ એવા ય મીડિયા(કુ)કર્મીઓને પણ ઓળખવા જ નહી યાદ રાખવા પડશે જેઓએ આવા આવા મુદ્દામાં પોતાની (કુ)વિચારધારાનાં પ્રચાર/પ્રસાર માટે લાગ જ જોતા  હોય છે. આ મુદ્દા પર કોઈએ બુદ્ધિજીવીએ લેખ લખીને ઉંધા હાથે કાન પકડીને અખિલેશની તરફેણ કરી છે કે નહિ એ અત્યાર સુધી તો ધ્યાન નથી ગયું પણ શનિવારે, રવિવારે  કે બુધવારે આ વાત ઉછાળી શકે.

ગુજરાતી કે હિંદુ કે ભારતીયની વાત કરીએ ત્યારે આવા લોકો “સંકુચિતતા” નાં લેબલ પર પોતાની બુદ્ધિનો ગુંદર લગાવીને ચીપકાવવા તૈયાર જ બેઠા હોય છે અને એવો (કુ)તર્ક આગળ ધરશે કે અખિલેશ જેવા લોકોએ અગર પ્રાંતવાદનો મુદ્દો આગળ ધર્યો તો તમે શું કરો છો? પણ ભાવિ પેઢી કે ઈતિહાસ માટે ય આવી માહિતી કે દસ્તાવેજ/સાહિત્યો સર્જવા જરૂરી જ હોય છે. (આ લખતી વખતે ઇન્દિરા ગાંધીએ લાદેલ #ઈમરજન્સી દરમ્યાન ગુજરાતે આપેલ ફાળો/ભોગ વિશે નરેન્દ્ર મોદી લિખિત “સંઘર્ષમાં ગુજરાત” યાદ આવે)

~ અમૃતબિંદુ ~

  • સાબરકાંઠાનું ૬૫૦૦ની વસ્તી ધરાવતું કોડીયાવાડા ગામનાં ૭૦૦ પરિવારોમાંથી ૧૨૦૦ જવાનો સેનામાં છે.
  • ૩૯ વીરતા પુરસ્કાર.
  • ૩૫૧૭ જેટલી શહીદોની વિધવાઓ છે.
  • કારગીલ યુદ્ધ વખતે પહેલા એટેકમાં બારે બાર શહીદો ગુજરાતમાંથી હતા.
  • આમ જોઈએ તો ફિલ્ડ માર્શલ સામ  માણેકશા પણ (પારસી) ગુજરાતી મૂળના ખરા ને ? જેઓનો જન્મ પંજાબમાં થયો હતો પણ એનું મૂળ વલસાડ છે.

 

^ સૌજન્ય – સંદેશ ન્યૂઝ ચેનલ

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, media, Nation, politics

અંકલ-આન્ટી અને ઉંમર


  • મારી જ.તા. (dob) 09-10-1968 છે પણ લગભગ દોઢ બે વરસથી કોઈક વાતચીત થાય ત્યારે એવો જ ઉલ્લેખ કરું : “પચાસ થ્યા !”  આનો મતલબ કોઈ એવો પણ કાઢી શકે કે તમને પોતાને ઉંમર નો અહેસાસ અથવા તો નેગેટીવીટી ભરેલી છે એનો પુરાવો કહી શકાય.

 

  • આજથી સત્તર-અઢાર વરસ પહેલા એટલે કે ૨૦૦૦-૨૦૦૧ની સાલ દરમ્યાન અમે ફ્લેટમાં રહેતા હતા, ત્યાં પચ્ચીસ વરસ કે તેથી મોટી વયની છોકરીઓ અમને અંકલ-આન્ટી કહેતી અને અમને ક્યારેય અજુગતું નહોતું લાગ્યું .

 

  • અત્યારે પણ અમારા ગ્રુપના અમુક લોકો અમારાથી પાંચ-દસ વરસ મોટા છે અને અમુક એવી જ રીતે નાના છે પણ અમે આપસમાં એકબીજાને અંકલ-આન્ટી કહીએ, એમાં હળવાશ અનુભવીએ છીએ અને કોઈને કોઈ જાતનો ડંખ નથી હોતો.

 

  • ઓરકુટયુગમાં એટલે કે ૮-૧૦ વરસ પહેલા કોઈ બક્ષી કોમ્યુનિટીથી સાથે હશે તો એમને ખ્યાલ હશે કે મેં સમયે પણ હું મજાક કરતો કે મને કોઈ અંકલ કહે, બેટા કહે, દાદા કહે, કોઈ જાતનો વાંધો નથી પણ કોઈ અને ખાસ કરીને સ્ત્રીઓ ‘ભાઈ’ કહે તો મજા ન આવે !!

 

  • એવી જ રીતે મને સામાન્ય રીતે કોઈ સ્ત્રીને બહેન કહેવું ફાવે જ નહિ. કોઈ આ વાતને કઈ રીતે લ્યે એ એના પર આધાર છે અને એના માટે (અને મારા માટે પણ) TMUCના બાઘાની જેમ પેલો તકિયાકલામ વાપરી શકાય = જૈસી જિસકી સોચ.

 

  • યુપી કે બિહારમાં પણ શાયદ પેલો વાક્ય પ્રયોગ છે – પહેલે ભૈયા ફિર સૈયા ! એ મને નથી ફાવતું. જરૂરી નથી કે બધા લોકો આવા હોય પણ એવી જ રીતે એ પણ જરૂરી નથી કે મારા જેવા જેઓ બહેન નથી કહેતા એની માન‘સિક’તા એવા જ પ્રકારની હોય જેવા પ્રકારની અમુક લોકો વિચારતા હોય.

 

  • બક્ષીએ એમના કોઈ લેખમાં કોઈને ટાંકીને સ્ત્રીની અમુક (કદાચ ત્રણ) ઉંમર/અવસ્થા વિશે કહ્યું હતું એમાં એવું પણ છે કે સ્ત્રીનું ૩૯મું ત્રણચાર વરસ સુધી ચાલે!! પણ જેમ ઉપર મારો બચાવ કે બહાનું ધર્યું એમ આ બધી વાતો બધી સ્ત્રીઓ પર લાગુ પાડી ન શકાય. હશે અમુક ‘માદા’ઓ એવી પણ હશે પણ મારા સદભાગ્યે મને એવી સ્ત્રીઓ પણ મળી છે કે જેઓ ઓરકુટ, ફેસબુક, કાર્યક્ષેત્ર, કૌટુંબિક કે મિત્રવર્તુળમાં મળેલી છે જેઓને આવી નાની ક્ષુલ્લક બાબતોથી ફરક પડતો નથી અને તેઓ પણ મુક્તમને આવી રમુજો પર ખડખડાટ હસી શકે છે અને કોઈ જાતની સંકુચિતતા એમને  અસર કરતી હોતી નથી.

 

~ અમૃતબિંદુ ~

[અંકલ ન હતા 😉 ] નાના હતા ત્યારે કોઈક સંસ્કૃત સુભાષિત ભણવામાં કે વાંચવામાં આવ્યું હતું એ યાદ નથી પણ એનો સારાંશ કદાચ કંઈક એવો હતો કે હે પ્રભુ! જેઓ મારી કવિતાની કદર ન કરી શકે, સમજી ન શકે એવા લોકોને મારે કવિતા સંભળાવવાનો સંજોગ ન થાય  !

^

આ જ વાત મારે કહેવી હોય તો હું કવિતાની સ્થાને હ્યુમર મુકવા માંગુ

4 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, social networking sites

ગુજરાતી ભાષા : લેખકો, પત્રકારો, વાચકો અને વિવેચકોની એક ?


આ પોસ્ટમાં વિચારો કે વાતની સળંગતા જોવા ન મળે અથવા પહેલા ફકરાને બીજાના બદલે કોઇપણ અન્ય ફકરા સાથે સંબંધ હોય એવું પણ લાગે પણ “ભાવના”ને સમજવી !

થોડા દિવસો પહેલા ક્રિશ્નકુમાર ગોહિલ એ fb પર એક પોસ્ટ મૂકી હતી – ‘સૌરાષ્ટ્રના અખબાર/સમાચારપત્રો માં સૌથી વધુ જોવાં મળતા શબ્દપ્રયોગો’ એના પરથી જેમ ‘…. ઉલ્ટા ચશ્માં’ વાળા ભીડેને હમારા જમાનાનો હુમલો/જુમલો આવે એમ મને ય ઓરકૂટ વખતે GMCC કોમ્યુનીટી પર આવો એક થ્રેડ હતો એ યાદ આવ્યો. ત્યારબાદ KGની એ પોસ્ટ WA msgમાં રૂપાંતર થઈને (નામ સાથે અને નામ વગર) ફરવા/ફેલાવા લાગી. ઓરકુટ-fbને વચ્ચે  રાખીએ તો હસમુખ ગાંધીએ ‘સમકાલીન’માં આ શબ્દો વિશે લખ્યું હતું અને  એમના જ સંદર્ભ સાથે ૨૨ જૂન ૨૦૧૬ના કાના બાંટવાનો  દિવ્યભાસ્કરની કળશ પૂર્તિમાં લેખ છે.

એ જ દિવસે એ જ પૂર્તિમાં પ્રણવ ગોળવેલકરનો લેખ છે જે પત્રકારો/સાહિત્યકારો/વાર્તાકારો પર છે. મેં પણ એ જ દિવસે fb પોસ્ટમાં લખેલું એમ આ બંને લેખમાં મુદ્દા-વિષય-ભાવ એક જેવો હોવા છતાં એક નથી પણ કદાચ વાતારણમાં જ કંઇક એવી વાસ હોવી જોઈએ કે અનાયાસ (આ જ નહિ પણ આ)  બાબતે WA અને fb ઈનબોક્સમાં વાતું નીકળી હતી. સ્વાભાવિક છે કે ત્યાં વાત થતી હોય એ આડીઅવળી (‘રેન્ડમલી’ કહેવાય?) વાતચીત થઇ હોય જેને ચર્ચા ના કહી શકાય પણ લોકો કહેતા હોય છે.

આ જ શબ્દને પકડું કે જે ન કહેવાય છતાં પણ કહેતા હોઈએમાં એક-બે શબ્દ યાદ આવે ‘વાચક’ અને ‘લેખ’.  બ્લોગમાં નવો નવો હતો  અને નિયમીતપણે આવતો  ત્યારે જે નવાઈ લાગતી એ આજે પણ એમની એમ જ સચવાઈને પડી છે કે બ્લોગ પોસ્ટને લોકો ‘લેખ’ કેમ કહી દેતા હશે? અજાણતા અને અજ્ઞાનતા કે બેદરકારીમાં કે પછી જાણી જોઇને? કે ‘લેખ’ કહો એટલે એ લખનારની ‘લેખક’માં ગણતરી થઇ જાય એવી ગણતરી હશે? અને ચાલો દલા તરવાડીની પરંપરા નિભાવવા એ ભલે ને ‘લેખક’ નું બિરુદ ‘પહેરી’ લ્યે, પણ એમને (ભૂલભુલથી) વાંચવા વાળાને (એમના) ‘વાચક’ની ટોપી કેમ પહેરાવતા હશે? આ વાત પર મને એમ મનમાં થયું કે કોઈને ‘બેટા’ કહેવાથી એના ‘બાપ’ થોડા બની ગયા કહેવાય?!

વાચકો જેટલા સહિષ્ણુ અને સમજદાર હોય એટલા લેખકો-પત્રકારો હોય છે? આપણને એક લેખકની શૈલી પસંદ હોય તો બીજાની વિચારધારા તો અન્યની વિષય પસંદ કરવાની રીત. અને આજે જે ગમ્યું હોય એનું  પછીનું કે પહેલાનું લખાણ ગમે અને ના ય ગમે પણ ગાંઠ બાંધીને રહેતા નથી, અને એ ગાંઠ નથી બાંધતા એને એ લોકો ‘વફાદાર’ છે કે નહિના ત્રાજવે તોળી લેતા હોય એવું પણ બને. સામાન્ય રીતે સમય જતા વાચક બદલાતો એટલે કે ‘અપગ્રેડ’ થતો હોય છે પણ લેખક પોતાની વિચારધારાને પકડી રાખે છે કે  છોડી શકતો નથી?  લેખક ઘણીવાર સમજવામાં થાપ ખાઈ શકે કે વાચક સમજી જાય છે કે તમે પહેલા પાક્કું કરી લીધું છે કે શું લખવું છે પછી એમાં (વિચાર નહિ) શબ્દો ગોઠવી દેવાનું કામ કર્યું છે – એને જ કદાચ બક્ષી ‘ફિટર’કહેતા કે નહીં?

અને વાચક? વાચક બબુચક હોય એવું લેખકો માને કે સમજી શકે પણ (મારા જેવો) એ વાચક WA-FB-ગૂગલ અને બે ચાર છાપાં વાંચીને વિવેચકની અદામાં આવી જતો હોય છે. ઉત્સાહ અને ઉતાવળમાં માહિતી અને જ્ઞાન કે સમજ  વચ્ચેનો ભેદ પામતા ભૂલી જાય છે. અને જો ન ભૂલે તો પણ એને ભૂલભુલૈયામાં ભમરડાંની જેમ ફેરવીને મૂકી દેવા વાળા ‘હોંશિયાર’ પણ પડ્યા છે.

આમ કરતા ખો નીકળી જાય ભાષાનો. ધીમે ધીમે પણ નહિ પરંતુ ક્યારે ફટાક દઈને વાચક એની ભાષામાં કોઈ સફળની નકલ કરતા પોતીકી શૈલી અને ભાષા ગુમાવી બેસે એ પણ એને ખ્યાલ નથી રહેતો. આપણે સાવ ખોટી રીતે સ્વીકારી અને સમજી જ લીધું છે કે શુદ્ધ અને સરળ ગુજરાતીમાં પાંચ વાક્યો લખવા પણ મુશ્કેલ છે. અને એવું પણ બને કે ‘સેલ્ફી’ ને જબરજસ્તીથી ‘સ્વયં-છબી -પ્રતિબિંબ-ગ્રહણ’ જેવું અટપટું અને ન સમજાય એવું નામ આપીને પૂછે  કે આને શું કહેવાય એ ખબર છે? fb –WA-બ્લોગ-લાઈક-પોસ્ટ-બેટરી-મોબાઈલ-ચાર્જર-ટેલીફોન-ટીવી-મેગેઝિન-કૉલમ  આવા અસંખ્ય શબ્દો છે જે વ્યવહારિક ભાષામાં વાપરીએ છીએ અને એને બદલવાની કોઈ જરૂર પણ નથી. પરંતુ થોડા સજાગ તો થઇ શકીએ ને? આપણી (કે કોઈપણ) ભાષા એટલી અઘરી કે અધુરી તો નથી જ કે એની હાંસી ઉડાવીને આપણી અણઆવડતને છુપાવીએ. પચાસ-સો વરસ પહેલાના લોકો જે ભાષા-શૈલી-શબ્દોનો ઉપયોગ કરતા એમાં બદલાવ તો આવે જ , અને આવવો પણ જોઈએ પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ગુજરાતીમાં પણ સરળ શબ્દો છે જ. હું પણ થોડા સમયથી જ સચેત થયો છું કે સમજ્યા વગર હિન્દી-અંગ્રેજી-ઉર્દુ  અને ઘણીવાર તો ખબર ય ન હોય કે કઈ ભાષાના શબ્દો છે એને વાપરતા પહેલા થોડી ક્ષણો (સેકન્ડો !) તો વિચારીએ કે આપણા મનમાં જે વિચાર આવ્યો એને અનુરૂપ સામાન્ય ગુજરાતી ભાષામાં કોઈ શબ્દ છે ખરા? એક અઠવાડિયા સુધી પ્રયોગ કરો અને પછી અનુભવ કે માનસિક સ્થિતિ વિશે લખજો કે વિચારજો.

અમુક વખતે આપણે લોકોને ટપારીએ નહિ તો કાંય નહિ પણ ધ્યાન દોરવું એ આપણી ફરજ છે એ પણ (જાણી જોઇને) ભૂલી જતા હોઈએ છીએ. શરૂઆતમાં ઉપર કહ્યું એમ વાતચીતનો ‘ધોળકિયા’ અટકનો દાખલો લઈએ તો હિન્દીભાષી સ્વાભાવિકપણે અજાણતા  DHOL  નો ‘ધોળ’ ની બદલે ‘ઢોલ’ ઉચ્ચાર કરે. આપણે એમની મજાક કર્યા વગર એમનું ધ્યાન દોરવું જોઈએ કે ‘ઢોલકિયા’ નહીં પણ ‘ધોળકિયા’. પરંતુ એવું થતું હોય છે કે એમની  મજાક કરવામાં આપણે પણ ‘ઢોલકિયા’ કહેવા માંડીએ.

વધુ એક શબ્દ કે ચલણ યાદ આવે છે RIP ! એના બદલે ૐ શાંતિ ન વાપરી શકાય? શા માટે RIP જ? જડતાથી નહિ કહેતો કે ન જ વાપરવું . આદતવશ કે અમુક દેશ-પ્રદેશ-વાતાવરણમાં રહેતા હો અને RIP કહેતા/લખતા/વાપરતા હોય તો એમાં આપણા કે એમના આત્માને ખોટું ય નથી લાગતું પણ બક્ષી આવું કંઈક કહેતાને કે નિયમ તોડતા પહેલા નિયમ વિશે જાણકારી હોવી જોઈએ. આમ પણ RIP દેખાય એટલે જય વસાવડાના એક કાર્યક્રમમાં RIP વિશે ગીતાના સંદર્ભે સાંભળ્યું હતું એ યાદ આવે.

અમુક લોકો સતત ઈન્ટરનેટ વાપરીને એવા વહેમ અને પ્રેમમાં પડી જાય કે ગૂગલ, વીકીપીડીયા એટલે જાણે મહાભારત અને  એ કહે એ પ્રમાણિત કે અંતિમ સત્ય અને ત્યાં નથી એ બીજે ક્યાંય નથી ! આ માનસિકતામાંથી બહાર આવી શકીએ તો સારું કહેવાય.

~ અમૃતબિંદુ ~

 

એક મિત્ર એ કહ્યું કે આજ (૨૩-૦૬-૨૦૧૬)ના દી.ભા.માં અન્નૂકપૂરને ફેન્સે (ડિસ્કાઉન્ટ નહિ) ડિસ્કાઉંટ અપાવ્યું વાંચીને થયું કે ઉંટ અપાવ્યું હશે !

– x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x- x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x- x-x-x-x-x-

“પ્રેક્ષકો અમારા પાસે જે કંઈ માંગે છે એ અમે આપીએ છીએ.”

“ હા, પ્રેક્ષક? આ પ્રેક્ષકનો જ બધો વાંક છે. બધું જ જોયા જાણ્યા છતાં પ્રેક્ષક કાંય બોલતો નથી પણ એનો અર્થ એમ નહિ કે એ જે કંઈ પણ જુવે છે એ બધું જ ગમે છે. પ્રેક્ષક લાચાર હોય છે. વિવશ હોય છે. મજબુર હોય છે.”

– ગુજરાતી નાટક  ‘માણસ હોવાનો મને ડંખ’ .

 

 

7 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, સાહિત્ય, media, Reading, social networking sites

‘સિંહપુરુષ:વીર સાવરકર’


આવતી કાલે એટલે કે ’૨૮ મે’ વીર સાવરકરજી(28-05-1883_26-02-1966)ની જન્મજયંતિ.

થોડા મહિનાઓ પહેલા ‘ધૂમખરીદી’ વાળા મિત્ર ધર્મેશ વ્યાસે એકાદ પુસ્તકનો રીવ્યૂ (અને એ પણ વિડીઓમાં) આપવાનું કહ્યું, આળસ અને આ અગાઉ ક્યારેય આવી રીતે (એકલા પણ) જાહેરમાં બોલવાનો મહાવરો ન હોવાથી ટાળતો હતો પરંતુ ધમભા એ સંનિષ્ઠ પ્રયાસો કરીને આખરે કામ કઢાવ્યું, આખરે મેં ‘વિડીયો_રીવ્યૂ’ આપી દીધો પણ એની સાઈઝ 300+mb હતી.. ધમભાને કહ્યું હતું કે કમ્પ્રેસ કરીને પછી મૂકજો…. મને કાલે યાદ આવ્યું કે  ‘પુસ્તક-એ-ખાસ’માં ધમભા મુકવાના છે એ જો  આવતીકાલે સાવરકરજીની જન્મજયંતિ પર  મુકીએ તો વધુ યોગ્ય ગણાય અને એમની સાથે વાત થઇ તો તેઓએ એક દિવસ એડવાન્સમાં જ મૂકી દીધો અને એટલે હું પણ આજે જ આ બ્લોગ પોસ્ટ લખવા બેસી ગયો!

યુ ટ્યુબની લીંક  – https://www.youtube.com/watch?v=_CdgcVLKvKU

તેમજ ઘેર બેઠા એ પુસ્તક ‘સિંહપુરુષ’ મંગાવવા માટેની લીંક  –

http://www.dhoomkharidi.com/sinhpurush-veer-savarkar-ni-jindagi-par-aadharit-navalkatha

કોઈએ યુ ટ્યુબપર ન જવું હોય તો એ રીવ્યુની (ધમભા આપે પછી) WA ક્લિપ પણ મળી શકશે, જેના માટે મને +91 98252 25888 પર મેસેજ કરી શકો છો.

-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

હવે જે વાત વિડીયોમાં કહી એ અને એના ઉપરાંત પણ થોડી ઘણી બીજી વાતો જે ત્રુટક ત્રુટક લખાઈ છે અને  બધું  સરખી રીતે સંપાદન-સંકલન થાય એવું લાગતું નથી એટલે કદાચ ખાસ જામે નહિ એવું બની શકે –

ઘણા સમય પહેલા વીર સાવરકર  લિખિત ‘૧૮૫૭ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ’ વાંચી હતી, ત્યારબાદ એક  (એફ્બી) ફ્રેન્ડ એ વીર સાવરકરની (ગોપાળરાવ ભાગવત દ્વારા અનુવાદિત)  ‘મારી જન્મટીપ’ વિશે પોસ્ટ મૂકી અને એમાં એમનું કહેવું હતું: “આથી કરૂણ પુસ્તક મેં હજુ સુધી વાંચ્યું નથી !” એટલે એકાદ વરસ પહેલા એમણે  પોતે લખેલી આત્મકથા ‘મારી જનમટીપ’ વાંચી, જેનાથી રૂંવાડા ઊભા થઇ જાય એવી એવી એમના પર વિપત્તિ પડેલ એ વાંચ્યું…. અને વાંચન દરમ્યાન હ્રદય દ્રવી ઉઠ્યું, સાથે સાથે ગ્લાની અને અપરાધભાવ થઇ ગયો કે સ્વાતંત્ર્ય ખાતર આવા આવા સંઘર્ષ વિશે આટલા વરસો બાદ હું વાંચું છું? !

અને ત્યારબાદ તરત વાંચી આ બૂક = ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’.

‘મારી જનમટીપ’માં તો સાવરકરજી એ એમના જીવન દરમ્યાનની વાત કરી છે પરંતુ આ ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’ માં તો એમના અવસાન બાદ પણ કેવા કેવા રાજકારણ રમાય છે એના પર લખ્યું છે અને એ રાજકારણ પરથી તો ડૉ. શરદ ઠાકરને આ ‘સિંહપુરુષ’ લખવાની પ્રેરણા મળી એના કરતા લખવાની ફરજ પડી એમ કહી શકાય.

‘મારી જન્મટીપ’માં દાયકાઓ પહેલાની ભાષા અને ઉપરથી અનુવાદ હોવાથી ‘સિંહપુરુષ’ વાંચવા માટે મન દ્રઢ થયું. અને જ્યારે ‘સિંહપુરુષ’ની પ્રસ્તાવના વાંચી ત્યારે થયું કે કોઈપણ લેખકના કોઈપણ પુસ્તક વાંચ્યા પહેલા જ અભિપ્રાય બાંધી લેવો એ ન તો માત્ર મુર્ખામી છે બલ્કે એમનો દ્રોહ પણ ગણાય!

હવે જયારે ‘સિંહપુરુષ’ વંચાય ગઈ ત્યારે એવા તારણ પર પહોંચ્યો છું કે દરેક દરેક ભારતીય, આમ તો (ગુજરાતીમાં હોવાથી) ગુજરાતીઓએ આ ‘સિંહપુરુષ’નું વાંચન ફરજીયાત કરવું જોઈએ જેથી જેઓના મનમાં અન્ય લોકોએ સાવરકરજી અંગે ખોટી ધારણા બંધાવી છે એનો છેદ ઉડી જાય અને ખ્યાલ આવે કે આ માણસ કેટલો બહુમુખી પ્રતિભાશાળી હતો!

ફેસબુક હોય કે રૂબરૂમાં મને જ્યાં પણ આ પુસ્તક વિશે વાત કરવાની થઇ છે, હું એક વાત ખાસ કહું કે આ વાંચ્યા પછી કમ સે કમ થોડા દિવસો માટે તો માનસિક અસ્વસ્થતા આવી શકે એવી તૈયારી રાખજો. કેમ કે સાવરકરજીને તો ૧૯૪૭ પછી એટલે કે સ્વતંત્રતા બાદ પણ જાણે કાળાપાણીની સજા સમાપ્ત ન થઇ. અને તેઓને સતત  અવગણવામાં આવ્યા અને છેલ્લે છેલ્લે તો ગાંધીજીની હત્યા કેસમાં પણ ‘ફિટ’ કરી દેવાનો પૂરો કારસો રચવામાં આવ્યો, જેમાંથી તેઓ આ કેસ સાથે સંકળાયેલ નથી એ સાબિત તો થઇ ગયું પણ સ્વાભાવિકપણે ત્યારબાદ ઘણા જ વ્યથિત અને વિક્ષિપ્ત થઇ ગયા હશે ! મને લાગે છે કે તેઓએ ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં જંપલાવ્યું અને કમનસીબે પકડાય ગયા  ત્યારે કે કાળકોટડીમાં એમના પર જે દમન ગુજારવામાં આવ્યું ત્યારે કે પછી પોતાના ભાઈઓ એ જ જગ્યાએ એટલે કે આંદામાનમાં છે એ ખબર પડી અને મિલન-મુલાકાત ન થઇ ત્યાં સુધી કે પછી એમના લાડકવાયાને ભગવાને છીનવી લીધો ત્યારે જે દુઃખ, જે દર્દ થયું હશે એનાથી વધુ ત્યારે થયું હશે કે એમની નિયત પર એમની દેશભક્તિ પર આવો કુઠારાઘાત?

આંદામાનમાં કાળાપાણીની તન-મન તોડી નાંખનાર સજા દરમ્યાન આત્મહત્યાના પણ વિચાર આવેલ પરંતુ તેઓ પર કુદરત અને આપણા તરફથી કહેર વરતાવવાનો હજી બાકી હશે કે આત્મહત્યાના વિચારને અમલમાં મૂકી શક્યા નહિ પણ ત્યાં ય શાંતિથી બેઠા ન રહ્યા કે ન તો રેંટીયો કાંતતા રહ્યાં. પણ     હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાની ધર્માંતર પ્રવૃત્તિ અટકાવી, સાહિત્ય તો રચ્યું પણ એને ઉતારવા માટે જેલમાં કોઈ સાધન ન મળતા તેઓ જેલની દીવાલો પર ખીલ્લીથી લખતા અને કંઠસ્થ કરતા રહ્યાં, સાથોસાથ અન્ય લોકોને અક્ષરજ્ઞાન આપતા આપતા લોકોને જેલમાં વાંચતા કર્યા, પુસ્તકાલય ઊભું કર્યું. તેઓ જેલમાં રહ્યાં પણ અન્ય લોકોને છોડાવવા એમનો ‘કેસ લડ્યા’, એ ધારત તો શરણાગતિ સ્વીકારીને આઝાદ થઇ શક્યા હોત, કરોડો જ નહી કદાચ અબજો રૂપિયા પણ કમાઈ શક્યા હોત, આમ પણ ‘સિંહપુરુષ’ અમથા થોડા કહેવાયા છે? એમની દુરંદેશી પણ ગજબની હતી, તેઓએ ભારતના ભાગલા અને કાશ્મીરની વિશે જે ભવિષ્ય ભાખ્યું એ કમનસીબે ગાંધી-નેહરુની ટૂંકી દ્રષ્ટી તેમજ નબળા મનને લીધે સાચું પડ્યું.

એમ તો હજી આજે પણ એવી ભ્રમણા ફેલાવવામાં આવે છે કે તેઓએ જેલમાંથી છૂટવા બ્રિટીશ સરકારને ઘૂંટણીયે પડેને અરજી કરી !! પણ એ હકીકતમાં કેટલું અને કેવું સત્ય છે એ જાણવા આ વાંચવું જોઈએ એવો મારો મત તેમ જ આગ્રહ છે.

તેઓ એવા વ્યક્તિ ન હતા કે  સોચ્યા-સમજ્યા વગરની મારી નાંખું ફાડી નાંખું વાળી વાતો કરે, તેઓ એવા પણ ન હતા કે મુસ્લિમોનો વિરોધ જ કરતા કે એમના પર દ્વેષ જ રાખતા, તેઓ ધાર્મિક પણ ન હતા તેઓ સાચા રેશનલીસ્ટ હતા, તેઓ જિન્હાની જેમ ગાંધીના તેજોદ્વેષી ન હતા, તેઓ ખાલી બીજાને જ ઉક્સવતા એવું ન હતું પણ તેઓના આખા પરિવાર જેમાં એમના પત્ની, બાળક, ભાભી બધા એ જીવનપર્યંત કષ્ટ અને ઉપેક્ષા સહન કર્યા છે,

મને ખબર નથી પણ લાગે છે કે બહું ઓછા અથવા તો આ  કદાચ એક માત્ર પરિવાર એવો હોય શકે કે જેના ત્રણ ત્રણ ભાઈઓ એક સાથે જેલમાં હોય, ઉપરાંત આંદામાનની કાળાપાણીની સાથે સાથે સજા કાપતા હોવાછતાં એકબીજાની હાજરી સુધ્ધાંની જાણ ન હોય!  તેઓ કવિતા રચતા, લેખ લખતા, પ્રવચન આપી શકે અને સમય આવ્યે કુશ્તી પણ લડી શકતા સાથે સાથે કાયદાનું જ્ઞાન સારી રીતે જાણી અને પચાવી શકનાર હતા, તો ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં કુદી પણ શકયા.

ખાસ ગેરસમજ તો એમના છૂટવાની વિશેની છે તથા ગાંધી વિરોધી તેમજ ગાંધી હત્યામાં સામેલગીરીની અને કટ્ટરહિંદુ વાદી તરીકેની છે જે દૂર કરવા પણ  લોકોએ આ પુસ્તક વાંચવું જરૂરી બની જાય છે.

‘મહામાનવ : સરદાર’ અને  ‘વીર સાવરકર’ જેવા પુસ્તકો વાંચ્યા બાદ અસમંજસમાં છું કે એ દેશ પર ગર્વ કરું જ્યાં કૃષ્ણ, વિવેકાનંદ, શંકરાચાર્ય, કબીર, ચાણક્ય જેવા આધ્યાત્મિક અને સરદાર, સાવરકર, ભગતસિંહ, મદનલાલ ઢીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, સુભાષબાબુ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, ચાફેકર બંધુઓ, તાત્યાટોપે, મેડમ કામા અને કેટલાય અનગિનત યોદ્ધાઓ  જન્મ્યા એના પર ગર્વ કરું?

કે પછી

(મારા સહીત) આપણા જેવા દંભી, કાયર અને કદરકૂટ્યા પ્રજાજનો તેમજ નેતાગીરી પર અફસોસ અને ગ્લાની અનુભવું?

વંદેમાતરમ …. જય હિન્દ…. ભારત માતાની  જય

~ અમૃત અશ્રુ બિંદુ ~

થોડા વરસો  પહેલા અશ્વિની ભટ્ટ દ્વારા freedom at midnightનો અનુવાદ પામેલ ‘અર્ધી રાતે આઝાદી’માં વાંચેલું

   “ઘણા ઓછા અનુયાયીઓને ખબર હશે કે વીર સાવરકર સજાતીય સંબંધમાં દિલચસ્પી રાખતા.”

^
આ વાંચ્યું હતું  ત્યારે વીર સાવરકર વિશે વાંચ્યું ન હતું  પણ સવાલ તો થયો કે અંગ્રેજો દ્વારા લખાયેલ (સાચા-ખોટા) ઈતિહાસ અને ફ્રીડમ ફાઈટરનાં ચરિત્રને આવનાર પ્રજા સમક્ષ મૂકવું એ ચરિતર પણ ઓળખવું જોઈએ.

4 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય, Nation, politics, Reading

રાષ્ટ્રવિરોધી વૃતિ_પ્રવૃત્તિઓ પરના વિવિધ લેખકોના લેખોના અંશો – ૪


અમુક લોકો સૌરભ શાહ જેવા લેખકોને કટ્ટર હિંદુ માને છે અને એ ખોટી રીતે પુરવાર કરે ત્યારે અમુક “બુધ્ધીશાળી હિંદુઓ”(?) અને ખંધા મુસલમાનો જાહેર રીતે યા તો મૂછમાં કે પૂછમાં (ઉમર ખાલિદ માફક) હસીને ટેકો આપતા હોય છે. પણ એવા લોકો આ જવાબદાર, પ્રબુદ્ધ લેખક-વિચારક શ્રી નગીનદાસ સંઘવીના આજના (દિ.ભા.) કળશના ‘તડ ને ફડ’માંથી જે અમુક અંશો આપું છું એ અંગે શું તર્ક-વિતર્ક કે કુતર્ક ફેલાવે છે એ જોવાનું રહ્યું.

  •  જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં બનેલી ઘટનાની હલકાઈ અત્યાર સુધી એકપક્ષી હતી, પણ દિલ્હીના વકીલોએ તેને દ્વિપક્ષી બનાવી મૂકી છે. યુનિવર્સિટી દેશના યુવાધનનો ખજાનો છે અને ગધ્ધાપચીસીના કાળમાં યુવાનો થોડી આછકલાઈ કરે. થોડો અજુગતો વર્તાવ કરે તો વડીલોએ અને સમાજે સાંખી લેવું ઘટે છે.
  • યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજકારણમાં ઘસડાય અને ત્રાસવાદી અફઝલ ગુરુનું સમર્થન કરે તે માટે તેમને યોગ્ય સજા પણ થવી જોઈએ.

 

  • કનૈયાકુમારની આછકલાઈનો બચાવ નથી. પાકિસ્તાન તરફી અને ભારત વિરોધી સૂત્રો પોકારવામાં આવ્યાં કે નહીં તે અલગ વાત છે, પણ સંસદ પર ખૂની હલ્લો કરનાર ત્રાસવાદીની વરસી ઊજવાય તે સૌથી મોટો ગુનો છે.

 

  • ભારતની અદાલતોની કારવાઈનાં કારણો અનેક નામીચા ગુનેગારો છૂટી જાય છે, પણ મહત્ત્વના કોઈ ખટલામાં નિર્દોષને સજા થયાનો એક પણ દાખલો નથી.

 

  • સરકારનો વિરોધ કરવો તે તેમનો હક અને અધિકાર પણ છે, પણ જ્યાં ત્યાં દોડી જવા અગાઉ થોડી સમજદારી તેમણે દાખવવી જોઈએ.નેહરુ યુનિવર્સિટીમાં દોડી જઈને તેમણે પોતાની અણસમજ પુરવાર કરી છે.
  • કનૈયાકુમારે યુનિ.ના વિદ્યાર્થીઓને સાંખી લેવા કે નહીં ચર્ચાસ્પદ મુદ્દો છે, પણ તેમના તે ગેરવર્તાવ અંગે બેમત નથી. કનૈયાકુમારે યુનિ.ના વિદ્યાર્થીઓને સાંખી લેવા કે નહીં ચર્ચાસ્પદ મુદ્દો છે, પણ તેમના તે ગેરવર્તાવ અંગે બેમત નથી.

 

  • પોતાની દેશદાઝ પુરવાર કરવાની મથામણમાં વકીલોએ અને પોલીસોએ કનૈયાકુમારના કેસને નબળો પાડી દીધો છે.

 

  • 1922માં 1924માં (સાલવારી નક્કી નથી) ભારતમાં સામ્યવાદની સ્થાપના થઈ ત્યારથી સામ્યવાદીઓ હંમેશાં રાષ્ટ્રવિરોધીઓ રહ્યા છે અને તેમની મૂર્ખાઈ પણ તેમની પોતાની નથી. રશિયાએ ગાંધીજીને અંગ્રેજોના ભાડૂતી કહ્યા અને આઝાદીની લડતના દુશ્મન ગણાવ્યા (1926). ભારતીય સામ્યવાદી પક્ષના આગેવાનોએ તેનું આંધળું અનુકરણ કર્યું અને ગાંધીજીને ઘણી ગાળો આપેલી.
  • સામ્યવાદી વિચારસરણીથી પ્રભાવિત થયેલા નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારત વિરોધી સૂત્રો પોકારે તેમાં કશી નવાઈ નથી, પણ આવા વિરોધથી અકળાઈ ઊઠવાનું કશું કારણ નથી. ભારતીય લોકશાહીનું પેટ આવાં તો કેટલાંય કરમિયાંને પચાવી જાય તેટલું સક્ષમ છે.

 

  • સરકારને ખૂંચે અને લોકોને ગમે કે ગમે, પણ દરેક નાગરિકને પોતાની વાત, પોતાનો મત કહેવાનો પૂરેપૂરો અધિકાર મળવો જોઈએ.
    દલીલ તદ્દન સાચી છે, પણ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપનાર ભારત સરકાર અને અધિકારની જાળવણી કરનાર અદાલતોના પાયા ખોદાઈ જાય તેવો અધિકાર કોઈને આપી શકાય નહીં, કારણ કે આવા ખ્યાલ અને આવી ચળવળ તો વાણી સ્વાતંત્ર્યનાં મૂળ ખોદી કાઢે છે.

 

~ અમૃત બિંદુ ~

દૃશ્ય:પહેલું
સ્થળ: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી
‘પાકિસ્તાન ઝિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ.’
‘આવા નારાઓ શા માટે લગાવી રહ્યા છો તમે?’
‘હુ દેશમાં શાંતિ અને સંપ જાળવવાની કોશિશ કરી રહ્યો છુ. મને દેશના સંવિધાનમાં શ્રદ્ધા છે!’

. . . . . . . . . . . . .. . . .
દૃશ્ય: બીજું
સ્થળ: પતિયાલા કોર્ટ.
‘મારો સાલા દેશદ્રોહીઓને!’
‘અરે! તમે પત્રકારોને શા માટે મારી રહ્યા છો? તો તેમની ફરજ બજાવી રહ્યા છે.’
‘દેશને બદનામ કરનારાઓ માટે અમને સખત નફરત છે.’

^

દિ.ભા.- કળશમાં આશુ પટેલની ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ કૉલમમાંથી

2 ટિપ્પણીઓ

Filed under સમાજ, media, Nation, politics

રાષ્ટ્રવિરોધી વૃતિ_પ્રવૃત્તિઓ પરના વિવિધ લેખકોના લેખોના અંશો – 3


હવે એ લેખ કે જેના લીધે મનમાં ચાલતા વિચારોને કાન્ય્ક ઠરાવ મળ્યો કે ચાલો આવી કંઈક  શ્રુંખલામાં ચાલુ  કરીયેતો …..

આ લેખ છેલ્લે રાખવાનું કારણ એ કે લગભગ એવું કોઈ  ભાગ્યેજ હોય શકે કે જેઓએ સૌરભ શાહના fb પેજ પર શેર થયેલ એની ધ્યાન બહાર હોય, છતાંપણ જો કોઈ રહી ગયું હોય તો એમને કામ આવે એ હેતુ સર સૌરભ શાહની ‘ગુડ મૉર્નિંગ’ કૉલમમાંનો આ લેખ જે મુંબઈ સમાચારમાં ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2016)ના રોજ પ્રકાશિત થયો હતો એમાંથી અમુક અંશો =

~ હિન્દુઓએ યાદ રાખવાના પોતાના પરના જુલમ ~

આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે બહુ જલદી ભૂલી જઈએ છીએ. બીજો પ્રૉબ્લેમ એ છે કે જલદી રિએક્ટ નથી કરતાં. હૈદરાબાદના તથાકથિત દલિત અને કહેવાતા વિદ્યાર્થીની આત્મહત્યા હોય કે પછી દાદરીનો કિસ્સો. પેલા લોકો તમારા પર તૂટી પડે ત્યારે સામે તરત જ જવાબ નથી આપતા. ગઈ કાલે આરએસએસના કોઈ કાર્યકર્તાને રહેંસી નાખવામાં આવ્યો જેના માટે માર્ક્સવાદીઓ જવાબદાર છે એવું માનીને પોલીસે આઠ કમ્યુનિસ્ટોની ધરપકડ પણ કરી છે છતાં માર્ક્સવાદીઓએ તે જ સેંકડે બોલવાનું શરૂ કરી દીધું કે આ હત્યા કોઈ આપસી અણબનાવને લીધે થઈ છે અને આમાં સામ્યવાદીઓનો કોઈ હાથ નથી.

દાદરી કે હૈદરાબાદના બનાવો વખતે ભાજપવાળા આવી રીતે ગાઈબજાવીને કહેતા નહોતા અને જ્યારે કહેવાનું શરૂ કર્યું ત્યારે ઘણું ચીતરાઈ ચૂક્યું હતું. શંકાનો લાભ આપવા માટે કહી શકીએ કે સ્પષ્ટતાઓ થઈ હશે પણ મીડિયાએ એનું રિપોર્ટિંગ નહીં કર્યું હોય. આ શક્ય છે, કારણ કે અડવાણીની પાકિસ્તાનયાત્રા વખતે જિન્નાહ સેક્યુલર છે-વાળા મુદ્દે સુષ્મા સ્વરાજે તાત્કાલિક પ્રેસ કૉન્ફરન્જ બોલાવી હતી અને દરેક મીડિયાહાઉસને અડવાણીના પ્રવચનની ટેક્સ્ટ મોકલી આપી હતી છતાં અડવાણી કે ભાજપનું વર્ઝન તો ક્યાંય મીડિયામાં આવ્યું જ નહીં. આ વિશે પાછલા મહિનાઓમાં આ જગ્યાએથી વિગતે વાત થઈ ચૂકી છે.

જોકે, એ વખતે મીડિયામાં લગભગ બધા જ ઍન્ટી-ભાજપ, ઍન્ટી-હિન્દુત્વવાદી અને ઍન્ટી-મોદી હતા. અત્યારે એમાંના ઘણા બધા પાલો કૂંદીને આ તરફ આવી ગયા છે. આય એમ શ્યોર કે કાલે, ન કરે નારાયણ ને ભાજપ સત્તા પર નહીં હોય તો ત્યારે હમણાં મીડિયામાં જે લોકો ભાજપતરફી, હિન્દુત્વતરફી, મોદીતરફી છે એ જ લોકો ફરી પાછા પોતાની અસલિયત દેખાડશે.

નવાઈ તો એ વાતની લાગે છે કે હિન્દુત્વ સાથે સંકળાયેલી, રાધર એના આધારે જ ચાલતી સંસ્થાઓ પોતે સાચી માહિતીનો પ્રચાર-પ્રસાર પોતાના જ સંગઠનમાં કરી શકતા નથી. ગોધરામાં ૫૯ હિન્દુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ. આ હત્યાકાંડ પછી મીડિયાએ ગુજરાતનાં રમખાણોને લઈને જે વ્યાપક હિંદુવિરોધી અપપ્રચાર ચલાવ્યો તેને કારણે ગુજરાત અને ભારતના ભલભલા લોકો મીડિયાના દોરવાયે દોરવાઈ જઈને માનતા થઈ ગયા કે આ રમખાણો પાછળ ગુજરાત સરકારનો જ દોરીસંચાર હતો. મીડિયામાં આવતી આવી બદમાશીભરી અને જુઠ્ઠાણાભરી વાતોમાં કેટલું અસત્ય ભર્યું છે એ વિશે તે ગાળામાં આ લખનારે ખૂબ લખ્યું, વિગતે લખ્યું અને સેક્યુલર દેશદ્રોહીએ મારા આ કામનો બદલો લેવા પોતાનાથી થાય એટલું મને નુકસાન કરવાના પ્રયત્નો પણ કર્યા. એ આખી જુદી વાત છે. મારો મુદ્દો એ છે કે ૨૦૦૨ની ૨૭મી ફેબ્રુઆરીની એ હિન્દુ હત્યાકાંડની ઘટનાના અઢી વર્ષ પછી, સપ્ટેમ્બર ૨૦૦૪માં અલગ કારણોસર હું નૈરોબી ગયો ત્યારે ત્યાંની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાએ રવિવારની એક સવારે મને એમના સભ્યો સમક્ષ બૌદ્ધિક (અર્થાત્ પ્રવચન) આપવા માટે નિમંત્રણ આપ્યું. ઉપસ્થિત દરેક સ્વયંસેવકનું સંઘઆયુષ્ય કમસેકમ ત્રણથી ચાર દાયકાનું હતું. અર્થાત્ ઓછામાં ઓછા ૩૦ થી ૪૦ વર્ષથી તેઓ સંઘ સાથે જોડાયેલા હતા. સ્વાભાવિક છે કે પ્રશ્ર્નોત્તરી દરમિયાન ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોની વાત નીકળે. મારા આશ્ર્ચર્ય વચ્ચે અઢી વર્ષ પછી પણ એ સૌ વડીલોના મનમાં એ જ ગેરમાહિતીઓનું ભૂસું ભરાયું હતું જે તે વખતના એનડીટીવી વગેરે જેવા પ્રમુખ મીડિયાહાઉસે એમનામાં ભર્યું હતું. આ ૩૦ મહિનાના ગાળા દરમિયાન સંઘે પોતે એમને મળેલી ગેરમાહિતી દૂર કરવા શું કંઈ જ નહીં કર્યું હોય? અનેક દાખલા-ઉદાહરણો આપીને મેં જ્યારે એમને સત્ય હકીકતો જણાવી (જે હું અહીં લખી ચૂક્યો હતો કે પ્રવચનોમાં જણાવી ચૂક્યો હતો) ત્યારે એ સૌને આશ્ર્ચર્ય થયું- પોતે મીડિયાના પ્રચારમાં કેવા છેતરાઈ ગયા એવી લાગણી એમણે મારી સમક્ષ પ્રગટ કરી.

અને એટલે જ હું દૃઢપણે માનતો થઈ ગયો છું કે આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે આપણા પર થતા જુલમોને, આપણી સાથે થયેલા અન્યાયોને બહુ જલદી ભૂલી જઈએ છીએ. આવું ન થવું જોઈએ. એ જુલમોનું, અન્યાયોનું ડૉક્યુમેન્ટેશન થવું જોઈએ. પુસ્તકોરૂપે, મ્યુઝિયમોરૂપે, સ્મારકોરૂપે.

ત્યારબાદ સૌરભ ભાઈએ ફ્રેન્ચ પત્રકાર ફ્રાન્ઝ્વા ગોતિયે વિશે સરસ વિગત આપેલી છે જે અહીં મુખ્ય અંશો મુકવા છે એટલે એ નથી મૂકતો. અને ફરી આગળ વધીએ –

અમે આવું બધું લખીએ છીએ ત્યારે કેટલાક સેક્યુલરવાદી દેશદ્રોહીઓના પેટમાં તેલ રેડાય છે. એમને ખબર નથી કે આ આજનું નથી, છેક ૧૯૯૨ના ડિસેમ્બરમાં બાબરી તૂટી ત્યારથી અમે આવું બધું લખતા આવ્યા છીએ. જેઓ અમેરિકાના કોઈ પણ ઍરપોર્ટ પર જઈને ઊભા રહે તો ત્યાંના સત્તાવાળા પહેલાં તો એમને એક મહિના માટે જેલમાં જ નાખી દે અને પછી પૂછપરછ શરૂ કરે એવી દાઢીવાળા ચહેરા ધરાવતા લોકોને અમારા જેવાનાં લખાણો પેટમાં દુ:ખે એ સ્વાભાવિક છે. સંકુચિત દૃષ્ટિના આવા લોકો પોતાની નાદાન બુદ્ધિથી જાતભાતની ટીકાઓ કરતા રહે એ સ્વાભાવિક છે. કારણ કે ભારત શું છે, ભારતીયતા શું છે, હિન્દુ ધર્મ શું છે અને હિન્દુત્વ કોને કહેવાય એવી વાતો એમને સમજાવવા માટે સલમાનભાઈની કે આમિરભાઈની કે શાહરૂખભાઈની ફિલ્મો કામ નથી આવતી. તેઓ જે લોભ-લાલચનો ઉલ્લેખ કરે છે તે વિશે આજે કે કાલે નહીં, છેક ૨૦૦૩માં પ્રગટ થયેલા આ વિષય પરના લેખોના મારા પુસ્તકમાં મેં મોઢા પર ડામર લગાડવાની જાહેર પ્રતિજ્ઞા કરી હતી તે છપાઈ જ છે અને તે પ્રતિજ્ઞા પણ પુસ્તક પ્રગટ થયા પહેલાંના સાતેક વર્ષ અગાઉ છપાયેલા લેખમાં પહેલી વાર લખી હતી.

~ અમૃત બિંદુ ~

असहिष्णुता पर अवार्ड लौटने वालों से गुजारिश है की अगर उनके अवार्ड समाप्त हो गए हो तो JNU में हुए देशद्रोही कृत्य पर अपना आधार कार्ड ही लोटा दें।…..

^

fwd msg

2 ટિપ્પણીઓ

Filed under સમાજ, media, Nation, politics, social networking sites

રાષ્ટ્રવિરોધી વૃતિ_પ્રવૃત્તિઓ પરના વિવિધ લેખકોના લેખો – ૨


ગઈકાલે કાના બાંટવાનો લેખ મૂક્યો હતો, આજે ચેતન ભગતનો લેખ કે જે પણ દી.ભા.માં (૧૮ ફેબ્રુઆરીના) છપાયેલ, આ લેખમાં એમને DMH સૂત્રની વાત કરી એ મને તો ઘણી અપીલ કરી ગઈ… આ રહ્યો એ લેખ =

બધું શું ચાલી રહ્યું છે? પહેલા ભાજપ વિરુદ્ધ દરેક હતા, પછી લડાઈ સહિષ્ણુતા વિરુદ્ધ અસહિષ્ણુતાની બની ગઈ અને હવે તે રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ રાષ્ટ્રવિરોધીઓ થઈ ગઈ છે.
જેએનયુમાં કેટલાક જવાનીયાઓએ નારેબાજી-દેખાવો કર્યા હતા. કોઈ નવી વાત નથી કારણ કે જેએનયુમાં આમેય ક્લાસરૂમમાં લેક્ચર કરતા કેમ્પસમાં દેખાવો વધારે થતા હોય છે. જો કે લેખ જેએનયુ વિશેનો કોઈ ચુકાદો નથી. લેખનો હેતુ જાણવાનો પ્રયાસ છે કે અચાનક કેમ ચોતરફ ભારતીવિરોધી કે દેશવિરોધીના લેબલો ચોંટાડવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે? એવોર્ડ વાપસીથી જેએનયુના દેખાવો સુધીના વિવાદોમાં કેટલાક લોકો હંમેશા ‘પાકિસ્તાન જતા રહો’ના મહેણા માર્યા કરે છે. આવું કેમ બની રહ્યું છે? મહેરબાની કરીને નોંધી લો કે લેખમાં કોઈની તરફેણ કરવામાં આવી નથી કારણ કે જ્યારે બન્ને પક્ષ મૂર્ખામીભર્યું વર્તન કરી રહ્યો હોય ત્યારે એકબાજુ રહીને જોયા કરવું વધારે બહેતર છે.
તો ખરેખર શું ચાલી રહ્યું છે? ભારતીય રાજકારણને આપણે એક સમીકરણ દ્વારા સમજાવી શકીએ એમ છીએ- D+M>H
સમીકરણ જરા વિચિત્ર લાગશે. સમીકરણમાં ‘ડી’ એટલે દલિત અથવા (એસસી-એસટી અને ઓબીસી સહિત) દરેક પછાત વર્ગના મતદારો. જ્યારે ‘એમ’ એટલે મુસ્લિમ વોટ. તમે એને લઘુમતિ (માઇનોરિટી) વોટ પણ કહી શકો છો. જ્યારે ‘એચ’ એટલે ઉચ્ચ વર્ગના હિંદુ વોટ. સમીકરણની સમજૂતી છે કે દલિત વોટ વત્તા મુસ્લિમ વોટની સંખ્યા હંમેશા ઉચ્ચવર્ગના હિંદુ વોટ કરતા વધારે રહેવાની છે. આશરે કહીએ તો ‘ડી’નું પ્રમાણ 40 ટકા છે, ‘એમ’ નું પ્રમાણ 20 ટકા છે અને ‘એચ’નું પ્રમાણ 40 ટકા જેટલું છે. સ્વાભાવિકપણે સમીકરણ સ્થિતિનો ચિતાર આપવા માટે છે. તેના દ્વારા ભારતીય રાજકારણના વર્તમાન પ્રવાહને સમજી શકાય છે.
ઉપરોક્ત સમીકરણનોનો અર્થ છે કે સામાન્ય સંજોગોમાં ભાજપ ક્યારેય સત્તા પર આવી શકે નહીં. આઝાદીના આશરે સિત્તેર વર્ષ પછી ભાજપ (અથવા જમણેરી પાર્ટીઓ) માત્ર સાત વર્ષ કરતા પણ ઓછા સમય માટે સત્તામાં રહી છે તે શું આશ્ચર્યની વાત નથી? ભાજપે જો સત્તામાં આવવું હોય તો ત્રણમાંથી એક સ્થિતિ જરૂરી છે- 1. એક કરતા વધારે પક્ષો ‘ડી’ અને ‘એમ’ મતોમાં ભાગલા પડાવે. 2. જે-તે ચૂંટણીમાં ‘ડી’ અને ‘એમ’ એકમેકથી અલગ પડી જાય. 3. ભાજપ કોઈ એવા કરિશ્માઈ નેતાને મેદાનમાં ઉતારે જે ‘એચ’ના વોટ મેળવવાની સાથે ‘ડી’ અને ‘એમ’ મતદારોનો કેટલોક હિસ્સો પણ આંચકી લે. 2014ની લોકસભાની ચૂંટણીમાં બધા પરિબળો એકસાથે ઉભરી આવ્યા જેના લીધે મોદીએ અભૂતપૂર્વ જીત મેળવી. જ્યારે બિહારમાં હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપવિરોધી પાર્ટીઓએ ‘ડી’ અને ‘એમ’ મતોમાં ભાગલા પડે નહીં તેની પૂરતી કાળજી રાખી હતી તેથી તેમનો વિજય થયો. 2015ની દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ માત્ર ‘ડી’ અને ‘એમ’ના મત નહીં પણ ‘એચ’ મતોનો પણ મોટો હિસ્સો પડાવી લીધો હતો.
સવાલ છે કે ‘ડી’ અને ‘એમ’ મતોને હંમેશા ‘એચ’ વિરોધી કેમ માનવામાં આવે છે? તેનું કારણ છે કે ‘ડી’ અને ‘એમ’ કાયમ ‘એચ’ના શોષણોનો ભોગ બન્યા હોવાનું અનુભવે છે. તેમના મતે ‘એચ’એ તેમને તકોથી વંચિત રાખ્યા છે. ‘ડી’+’એમ’નું પ્રમાણ અતિશય વિશાળ હોવાથી રાજકીય પક્ષો હંમેશા તેમને રીઝવવાના પ્રયાસો કરતા રહે છે. એટલું નહીં તેઓ ‘એચ’ તેમના શોષણની થિયરીને પણ સતત જીવતી રાખવાનો પ્રયાસ કરતા રહે છે. ‘ડી’ અને ‘એમ’ વર્ગનું ઉત્થાન ત્યારે થશે જ્યારે તેઓ જાતે શિક્ષણ પર ભાર મૂકશે અને પોતાને આધુનિક બનાવવાના પ્રયાસો કરશે. કૉંગ્રેસને હંમેશા ‘ડી’ અને ‘એમ’ એમ બન્નેના મત મળતા આવ્યા છે. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ, આરજેડી અને જેડીયુ પણ એવી રાજકીય પાર્ટીઓ છે જે તેમના વોટ માટે ઉત્સુક હોય છે. છેલ્લે આમ આદમી પાર્ટી પણ તેમના વોટનું મહત્ત્વ સારી રીતે જાણે છે તેથી તે મોદી પર હુમલ કરવાની એક પણ તક ચૂકતી નથી
દરમ્યાન ‘એચ’ મતદારો સ્થિતિને અલગ રીતે જુએ છે. વર્ગ પોતાને પીડિત અનુભવતો નથી. તેથી તેમના પક્ષે વેર વાળવા જેવી કોઈ વૃત્તિ નથી. હકીકતમાં ‘એચ’ શ્રેષ્ઠ ભારતનું સપનું પણ જોઈ શકે છે. તે એવા રાષ્ટ્રની અપેક્ષા રાખી શકે છે જે સંપન્ન હોય, સ્વતંત્ર હોય અને જગતમાં જેનું સન્માન હોય. ‘એચ’ને ‘ડી’ અને ‘એમ’ સતાવવા માગે છે એટલે જ્યારે પણ ‘એચ’ની અપેક્ષાઓ પડી ભાંગે છે ત્યારે તેઓ એનો આનંદ માણે છે અને અહીં દેશવિરોધીનો મુદ્દો જન્મે છે. તેઓ વિચારે છે કે અનામત-તૃષ્ટીકરણની નીતિ છતાં પણ ‘ડી’ અને ‘એમ’ કેમ આગળ આવીને અમારી અપેક્ષાઓમાં સહભાગી થતા નથી? જ્યારે ‘ડી’ અને ‘એમ’ વિચારે છે કે જ્યારે અમે પીડિત છીએ ત્યારે ‘એચ’ કેવી રીતે મોટું સપનું જોવાની હિંમત કરી શકે છે? ભારતનું પ્રથમ દાયિત્ય અમારા પ્રત્યે છે. ‘એચ’ પોતાની અપેક્ષાઓને અમારા પર થોપવાની હિંમત કેવી રીતે કરી શકે?
મૂળભૂત સંઘર્ષ આપણા રોજબરોજના રાજકારણ, સમાચારો અને ચર્ચાઓને દોરવતો રહે છે. દુ:ખની વાત છે કે તેના કારણે અસલી દેશવિરોધીઓને આપણી વચ્ચે ઘૂસવાની અને ભાગલા પડાવવાની તક મળી જાય છે. જો કે ડી+એમ વોટ મેળવવા માગતી રાજકીય પાર્ટીઓ ‘એમ’ વોટ તૂટવાના ભયે તેની પૂરતી ટીકા નથી કરતી. રીતે કોરાણે હડસેલાઈ ગયેલું કોઈ હિંદુ સંગઠન ચોંકાવનારું હિંદુત્વવાદી નિવેદન આપી દે છે ત્યારે ભાજપ પણ ‘એચ’ વોટ નારાજ થવાના ભયથી તેની પૂરતી ટીકા કરવાનું ટાળે છે. ડી, એમ અને એચના સતત સંઘર્ષનો ભોગ બને છે ભારત. ખરેખર તો ડી+એમ+એચ સૌથી શ્રેષ્ઠ સમીકરણ હોઈ શકે છે. અને તે પરસ્પર વેર લેવાના બદલે વાસ્તવિક મુદ્દાઓના આધારે નિર્ણય લઈ શકે છે કે કોને વોટ આપવો જોઈએ. રાજકીય નેતાઓ તેમાં ભાગલા પાડવા ઈચ્છે છે. તેઓ વાસ્તવિક કામો પર ધ્યાન કેન્દ્રીત કરવાના બદલે માત્ર સંઘર્ષને પ્રોત્સાહન આપીને પ્રાસંગિકતા જાળવી રાખવામાં રસ છે. એવું લાગે છે કે આપણે નાગરિકો તેમાંથી બહાર આવી શકીશું નહીં. આપણે સૌ એકસાથે આવી શકીએ નહીં તો શું તેનો અર્થ થયો કહેવાય કે આપણે બધા દેશવિરોધી છીએ?
‘ડી’ને ‘એચ’ની સાથે એક થવું જોઈએ તથા ભાગલા પાડતી અનામત નીતિના બદલે કોઈ વધારે સારી યોજના લાવવી જોઈએ. ‘એમ’ સમજી લેવું જોઈએ કે દેશ પ્રથમ છે અને ધર્મ પછી આવે છે. ‘એચ’ સમજી લેવું જોઈએ કે પોતાની સંસ્કૃતિ કે દૃષ્ટિકોણ બીજા પર થોપી શકાય નહીં કારણ કે દરેક તેમની જેમ વિચારતા નથી. દરેક પરસ્પર હાથ મિલાવવા પડશે અને બધાની વાત સાંભળીને મતભેદ દૂર કરવા પડશે. દેશને ‘ડી’, ‘એમ’ કે ‘એચ’ની નહીં પણ માત્ર ‘આઇ’ની જરૂર છે, જે ઇન્ડિયા એટલે કે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. જો આપણે સાચા રાષ્ટ્રવાદી હોઈશું તો આવું થયા વિના રહેશે નહીં.

~ અમૃતબિંદુ ~

बुद्धिजीवि आज कह रहे है कुछ छात्रों की वजह से जेएनयु को देशद्रोह का अड्डा नही कह सकते, वही एक अखलाख के मरने पर पुरे देश को असहिष्णु कहते थे !।

^
fwd msg

2 ટિપ્પણીઓ

Filed under સમાજ, media, Nation, politics, Reading, social networking sites

રાષ્ટ્રવિરોધી વૃતિ_પ્રવૃત્તિઓ પરના વિવિધ લેખકોના લેખોના અંશો – ૧


હમણાં હમણાં જે રીતે દેશમાં ચાલી રહ્યું છે અને છાપા/ટીવીમાં અનુક્રમે છપાય/દેખાડાય રહ્યું છે અને સ્વાભાવિક રીતે જ એના પડઘા સોશ્યલ મીડિયામાં પડે છે એ પ્રત્યે સ્થિતપ્રજ્ઞ કે શાહમૃગવૃતિ કરવી લગભગ કોઈના હાથના વાત નથી રહી. ત્યારે સૌને અલગ અલગ વિચાર આવતા હોય છે જે સોશ્યલ મીડિયા પર ઠાલવતા રહીએ અને એકબીજાની (fb)પોસ્ટને લાઈક-કોમેન્ટ વગેરે દ્વારા સમર્થન કે વિરોધ કરતા હોઈએ અથવા તો એમ પણ થાય કે (જાણે !) આખી દુનિયા હો હા ને ગોકીરો કરે છે એમાં હું ય ક્યાં પીપુડી વગાડું? અને આમ પણ આપણા જેવા સામાન્ય લોકો કે જેઓનો આ પ્રોફેશન કે સ્કીલ નથી તેઓ વ્યવસ્થિતપણે રજુ ન કરી શકે એના કરતા આપણે જેના સમર્થન હોય એનો પ્રચાર/પ્રસાર કરીને જો કોઈ એનાથી અજાણ રહી ગયા હોય તો તેઓ સુધી વાત/વિચાર પહોંચી શકે એવું તો કરી શકીએ! એ વિચારથી આ રીતે  શે’ર કરવાનો વિચાર આવ્યો.

આપણે પેલા કહેવાતા બુધ્ધીશાળીની જેમ છાશ લેવા જવું અને દોણી સંતાડીને પોલીથીલીનમાં છાશ લઇ આવવું નહિ પોષાય.. એ લોકો તો પોતાનો (કુ)વિચાર રાખે અને પાછા એવો દંભ કરે કે આવા લોકો સાથે માથાકૂટ ન કરાય… અરે દંભીઓ.. જો તમે એવા ડાહીમાના દીકરાઓ/દીકરીઓ હો તો ચુપ રહો અને ચુપ રહેવા દો..પણ ના! તમારે તો બોલવું  છે..અમારા મોઢામાં આંગળા નાંખવા છે અને પછી કહેવું છે જુવો આ રાષ્ટ્રવાદી લોકો ને વગેરે વગેરે વગેરે ….

એની વે , આ તો પ્રસ્તાવના જ થઇ હવે જે  લેખના અમુક (મોટાભાગના) અંશો મૂકું છું તે ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ દિ.ભા.ની કળશ પૂર્તિમાં ‘વિહાર’ કૉલમમાં કાના બાંટવા એ લખેલ છે… અને પછી અન્ય લેખકોના લગભગ ત્રણેક લેખો છે જે મુકવાનો વિચાર છે એ દરમિયાન જો વધુ ધ્યાનમાં આવશે તો એના અંશો પણ શે’ર કરવાનો વિચાર છે.

ભારત કી બરબાદી તક જંગ રહેગી, જંગ રહેગી. આવાં સૂત્રો અત્યાર સુધી કાશ્મીરમાં સંભળાતાં હતાં, હવે દિલ્હીમાં સંભળાયાં. આવું ભારતમાં બની શકે, કારણ કે ભારત સહિષ્ણુ છે. ભારત સહન કરે છે. સૂત્રો પોકારનારાઓ જો પાકિસ્તાન જઈને પાકિસ્તાનની બરબાદીના નારા લગાવે તો ફાંસીએ લટકાવી દેવામાં આવે. ચીરીને મરચું ભરી દેવામાં આવે. ભારતની સજ્જનતાનો લાભ ઉઠાવી રહ્યા છે, દેશદ્રોહીઓ. ભારતની ભૂમિ ઉપર, ભારતનું અન્ન ખાઈને જીવતા પરોપજીવીઓની નિષ્ઠા ભારત તરફી નથી. ભારતનો કોઈ સંનિષ્ઠ નાગરિક દેશની વિરુદ્ધ નારા લગાવી શકે. નારા લગાવનારાઓ પાકિસ્તાનના પિઠ્ઠુઓ છે. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં આતંકવાદી અફઝલ ગુરુની શહીદીને સેલિબ્રેટ કરવામાં આવે. સંસદ પર હુમલો કરનાર ભારતના દુશ્મન અફઝલ ગુરુને શહીદ કહેવામાં આવે અને તેમની સામે પોલીસ કાર્યવાહી કરે તો અન્યાયની રડારોળ કરી મૂકે.
કોણ છે દેશદ્રોહીઓ? પાકિસ્તાનથી ઘૂસેલા આતંકવાદીઓ નથી. પાકિસ્તાનના પૈસે કાશ્મીરમાં ભારત વિરુદ્ધ માહોલ ઊભો કરનારા નથી. લોકો તો ડાબેરીઓ છે. પ્રશ્ન થાય કે ડાબેરીઓને અને પાકિસ્તાનને શું સંબંધ? શું ચીન અને પાકિસ્તાનની દોસ્તીનું પરિણામ છે? શું ડાબેરી વિચારધારા ધરાવતાં તત્ત્વોને ચીન પોતાના હાથમાં રમાડી રહ્યું છે? શું માઓવાદીઓ-નકસલવાદીઓ અને પાકિસ્તાન વચ્ચે સમજુતી છે? આમ પણ ભારતના ડાબેરીઓ ઉપર ચીનની તરફેણ કરવાના આક્ષેપ થતાં રહ્યા છે. 1962ના ભારત-ચીન યુદ્ધ વખતે ડાબેરીઓ ચીન તરફી હતા એવા પણ આરોપ લગાવાય છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ઘટનામાં ડાબેરી વિદ્યાર્થી સંગઠન આરોપી છે.
ડાબેરીઓનો એકમાત્ર ગઢ કહો તો ગઢ અને આશ્રયસ્થાન કહો તો આશ્રયસ્થાન બચ્યું છે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી. ત્યાંના ડાબેરી વિદ્યાર્થી સંગઠને છાત્ર સંઘની ચૂંટણીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીને હરાવી દીધી હતી. ડાબેરીઓનો અડ્ડો છે. ભારતમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે એટલે ડાબેરી વિચારધારા સામે કોઈને વાંધો હોય. કોઈ સામ્યવાદી વિચારધારા ધરાવતું હોય તો તેને આવકાર છે, કોઈ જમણેરી વિચારધારા ધરાવતું હોય તો તેને આવકાર છે, પણ જો કોઈ વિભાજનવાદી વિચારધારા ધરાવતું હોય તો તેનું સ્થાન ભારતમાં નથી નથી. ભારતના ટુકડા કરવાની વાત કરનારાઓનું સ્થાન માત્ર જેલમાં અથવા પાકિસ્તાનમાં અથવા ચીનમાં અથવા તેમને ફાવતા કોઈ દેશમાં અથવા દરિયામાં હોવું જોઈએ. ભારતના ભાગલાની વાત કરનારને ભારતના નાગરિક રહેવાનો અધિકાર નથી. તેમનું નાગરિકત્વ છીનવી લેવું જોઈઅે.
થયું હતું એવું કે, કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં કલ્ચરલ પ્રોગ્રામના નામે એક ઇવેન્ટ યોજી જે અફઝલ ગુરુને શહીદ તરીકે સ્થાપિત કરવાનો કાર્યક્રમ બની રહી. યુનિવર્સિટીમાં પ્રોગ્રામ માટે જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં હતાં તેમાં લખવામાં આવ્યું હતું, ( એ લેખમાં છે અને બધાને ખબર છે, આમ પણ મને આવા દેશ વિરોધી નારાઓનું પુનરાવર્તન કરવું ગમતું નથી એટલે એ ઉતારતો નથી) જાણે ભારત સામે યુદ્ધે ચડ્યા હોય એવાં સૂત્રો હતાં. કાશ્મીરમાં આઝાદીના નામે કેટલાક ગેરમાર્ગે દોરાયેલા લોકો દાયકાઓથી ભારતની વિરુદ્ધ લડી રહ્યા છે. તેમનું પ્રિય સૂત્ર છે, (એ લખતો નથી) એનું જવાહરલાલ નેહરુ યુનિવર્સટીમાં સૂત્રને બદલીને પોકારવામાં આવ્યું, (એ લખતો નથી) આવાં સૂત્રો પોકારવાં માત્ર ગુનો નથી, દેશદ્રોહ છે. અગાઉ હૈદરાબાદ યુનિવર્સિટીમાં પણ અફઝલ ગુરુને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાહુલ વેમુલ્લા નામનો વિદ્યાર્થી સક્રિય હતો. રાહુલ વેમુલ્લાએ આપઘાત કરી લીધો એટલે મુદ્દો અલગ પાટે ચડી ગયો હતો. જેએનયુમાં ભારત માતાનું અપમાન કરનાર, દેશને બરબાદ કરવાની વાતો કરનારને બચાવવા માટે ડાબેરી નેતાઓ હાલી નીકળ્યા. સીતારામ યેચુરીએ તો છાત્રો સામેના પોલીસ એક્શનને અઘોષિત કટોકટી ગણાય છે. અહીં સીતારામની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે? કોને બચાવી રહ્યા છો? તમે કોની તરફેણ કરી રહ્યા છો? દેશદ્રોહ દેશદ્રોહ છે, ડાબેરીઓ કરે કે કાશ્મીરીઓ કરે કે કોઈ પણ કરે.
કમનસીબી છે કે મુદ્દો ડાબેરીઓ વિરુદ્ધ ભાજપનો બની ગયો. ભાજપ અને એબીવીપી ડાબેરીઓ પર તૂટી પડ્યા અને જેએનયુને બંધ કરી દેવાની માગણી કરવા માંડ્યા. મુદ્દાને રાજકીય બનાવવો યોગ્ય નથી. રાજકારણ બહુ સસ્તી ચીજ છે અને દેશપ્રેમ બહુ મોંઘી જણસ છ. દેશની વિરુદ્ધ નારા લગાવનાર કોઈ પણ પક્ષનો હોય, એને સાંખી લેવાય નહીં. કોંગ્રેસ પણ ભાજપનો વિરોધ કરવા માટે વચ્ચે કુદી પડી. જે કોંગ્રેસે અફઝલ ગુરુને ફાંસી આપી હતી તેણે કર્યું કરાવ્યું ધૂળમાં મેળવી દીધું. ભારતમાં કોઈ પણ મહત્ત્વના મુદ્દાને પતાવી દેવો હોય તો તેને રાજકીય રૂપ આપી દેવું. મુદ્દો પતી જશે. હકીકતમાં તો ડાબેરીઓ અને કોંગ્રેસ બંનેએ દેશવિરોધી સૂત્રોચ્ચારનો વિરોધ કરવો જોઈએ. ભાજપ કાશ્મીરમાં પીડીપીની સાથે સરકાર રચે એના કારણે આવી ઘટનાઓ વધી છે એવા આક્ષેપો કરવાથી ડાબેરીઓ કે કોંગ્રેસ કોઈનું ભલું થવાનું નથી. જેએનયુની ઘટનાના બે દિવસમાં દિલ્હીની પ્રેસ ક્લબમાં અફઝલ ગુરુને અંજલિ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો. સંસદ ઉપર હુમલો કરવાના કાવતરામાં નિર્દોષ છૂટેલા ગિલીનીએ કાર્યક્રમ યોજ્યો હતો અને એની સામે દેશદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો. દેશમાં જ્યારે આતંકવાદીને શહીદ ગણાવવાની હોડ લાગે અને તેમાં આતંકવાદી સિવાયના લોકો, વિદ્યાર્થીઓ જોડાય ત્યારે શંકા જાય કે કાવતરું બહુ મોટું છે.

~ અમૃત બિંદુ ~

“માને ડાકણ ન કહેવાય”

^

આજે બપોરે ટીવીમાં રાઠવા સાહેબે રાષ્ટ્રવિરોધી નારાઓ સબબ દેશી ભાષામાં આ મસ્ત ચાબખો માર્યો, જે ગમ્યો!

(આ રાઠવા સાહેબ કોઈ યુનિવર્સીટીના કોઈ અધિકારી છે પણ અત્યારે યુનિવર્સીટીનું કે એમનું આખું નામ કે હોદ્દો યાદ નથી)

2 ટિપ્પણીઓ

Filed under સમાજ, media, Nation, politics, Reading, social networking sites