“આપણી ઈંગ્લીશ ઘેલી માનસિકતાને લીધે ગુજરાતી ભાષા મરવા પડી છે.”
“અત્યારની પેઢી મોબાઈલમાં જ ગૂંચવાયેલી અને ઓતપ્રોત રહે છે.”
“ગાંધીધામમાં બસ લોકોને રૂપિયામાં કમાવામાં જ રસ છે.”
“બાળકોને બસ મોબાઈલ ગેમ્સ અને ટીવીમાં જ રસ છે.”
“વાંચવું છે એ લોકો પાસે પણ ટાઈમ જ ક્યાં?”
“લોકોને વાંચવામાં રસ જ નથી.”
“ચાળીસ-પચાસ ઉંમરની આસપાસ કે ઉપર વાળા મુનશી-મેઘાણી-બક્ષી-અશ્વિની ભટ્ટ-હરકિસન મેહતા-ગુણવંત આચાર્ય-નગીનદાસ સંઘવી-ગુણવંત શાહ-કાંતિ ભટ્ટ-તારક મેહતા-વિનોદ ભટ્ટને જ ઓળખે છે અને સાચવી બેઠા છે.”
“ચાળીસ-પચાસ ઉંમરની નીચે વાળો વર્ગ ધ્રુવ ભટ્ટ, કાજલ ઓઝા, જય વસાવડા, ડૉ. શરદ ઠાકર, ધૈવત ત્રિવેદી, ઉર્વિશ કોઠારી, શિશિર રામાવત, કિન્નર આચાર્ય, અશોક દવે, સાંઈ રામ જેવાને જ ઓળખે છે.”
^ ઘણા લોકોની સાથે અમારી પણ આ અને આવી બીજી કેટલીયે માન્યતાઓ હતી.
પણ રવિવાર, તારીખ ૨૩ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ અમુક સ્થાનિક લેખકો અને કવિયત્રીનાં હસ્તે જ્યોત પ્રગટાવી ‘પુસ્તક મેળો’ ખુલ્લો મુકાયો ત્યારે અમને એવો અંદાજ હતો કે રવિવાર હોવાથી લોકો આરામથી ૧૧ – ૧૨ પછી આવવાનું શરુ કરશે. પરંતુ અમારી એ કે એ સિવાય ઉપર દર્શાવેલી બધી ધારણાઓનો ભુક્કો બોલાવતી ભીડ થઇ અને સાડા નવ આસપાસ દીપ પ્રાગટ્ય વખતે જ લોકો આવી ગયાહતા. અને ત્રણ-ચાર કલાકમાં તો ચપાચપ ૭૦% આસપાસ પુસ્તકો ઉપડી ગયા! ઉત્સાહ અને ખુશીથી અમે સૌ અભિભૂત થઇ ગયા અને ‘અનબિલીવેબલ’ , ‘અનએકસપેકટેડ’ જેવા અંગ્રેજી શબ્દોએ દિમાગમાં પક્કડ જમાવી. એમ લાગ્યું કે છ વાગ્યા સુધીનો સમય રાખ્યો એ પહેલા જ વાવટા વિટાઈ જશે. તેમજ ત્રણ-ચાર પછી જેઓ આવશે એમને શું જવાબ આપીશું અને એમને એમ લાગશે કે પુસ્તકો જ નહોતા! એટલે અમુક મિત્રો કે જેઓ ૧૫-૨૫-૫૦ થી વધુ પુસ્તકોની ખરીદી કરી હતી, એમને વિનંતી કરીકે એક કામ કરો, તમે લીધેલ આ પુસ્તકોનો ફોટો પાડી WA કરી દો. તમને આ પુસ્તકો અત્યારે નહિ પણ બે-પાંચ દિવસમાં ફરી સહજાનંદમાં જઈને લઈને આપીશું. અને એ મિત્રો ખુશી ખુશી સહકાર આપ્યો. તો બીજા લોકો પણ ‘બુકિંગ’ કરાવવા લાગ્યા!
આમ પુસ્તક મેળાનું સરવૈયું કાઢીએ તો અમે સાડા ત્રણ લાખ ઉપરાંતની વેચાણકિંમતના જે ડિસ્કાઉન્ટ બાદ લગભગ પોણા બે લાખની કિંમતના બે હજારથી વધુ પુસ્તકો લઇ આવ્યા હતા એમાંથી એક સો આસપાસ જ વધ્યા અને જે બુકિંગ થયું એની એન્ટ્રી હજુ ચાલુ છે પણ ત્રણસોની ઉપરનો આંકડો તો અત્યારે જ થઇ ગયો છે.
-x-x-x-x-x-
ભારત વિકાસ પરિષદ દ્વારા એવો નિર્ણય લેવાયો કે જે કાંય આર્થિક રોકાણ અને ખર્ચ થાય એ કરીને ગાંધીધામમાં એક પુસ્તક મેળાનું આયોજન કરીએ. અને એમાં મેનેજમેન્ટ તેમજ પ્રચાર-પ્રસાર વગેરે માટે આ પ્રકારનો અનુભવ અને ઉત્સાહ ધરાવનાર ‘પુસ્તક પરબ’ નો સાથ મળ્યો. તો સાથે સાથે ભુજ ખાતે સુપ્રસિદ્ધ સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ તરફથી પણ ઉત્સાહ વર્ધક વાત આવી કે જેટલા પુસ્તક જોઈએ એટલા લઇ જાઓ. બધાનું પેમેન્ટ કરવું પણ જરૂરી નથી અને સામાન્યતઃ રવિવારે રજા હોવા છતાં માત્ર આ કાર્ય માટે રવિવારે પણ ખોલીશું. તો સાથે સાથે હોટેલ કંડલા ઇન્ટરનેશનલ જેવી કોમર્શીયલ પેઢી હોવા છતાં એમણે પુસ્તક મેળાના દિવસે હોલ તેમજ એ અગાઉ મીટીંગ તેમજ પુસ્તકો રાખવા માટે સ્ટોરેજની વ્યવસ્થા અને ચાય-પાણીની વ્યવસ્થા માટે પણ એક પણ પૈસો ન લીધો!
બસ, પછી તો આમ એકાદ મહિનો અને છેલ્લા દસ-બાર દિવસથી તો બધા લોકો પોતપોતાની રીતે યોગદાન આપતા રહ્યા અને એકબીજાના ઉત્સાહથી ઉત્સાહ બેવડાતો રહ્યો.
‘પુસ્તક પૂરબ’ બાબતે વાત કરીએ તો ગાંધીધામમાં ડીસેમ્બર 2014ની સાલથી દર મહિનાના પહેલા રવિવારે ગોપાલપુરીનાં મેઈન ગેટ પાસે સવારે સાત થી નવ વચ્ચે ‘પુસ્તક પરબ’ યોજાય છે. ત્યાં રહેલ પુસ્તકોમાંથી કોઇપણ વ્યક્તિ પુસ્તકો લઇ જઈ શકે છે. વાંચીને આપી જાય એવો પણ કોઈ આગ્રહ નહિ. અને એ પણ નિ:શુલ્ક! આ ચાર વર્ષ દરમ્યાન પુસ્તક પરબના પચાસ મણકા યોજાઈ ગયા છે. એમાં ૨૧૦૦૦ જેટલા પુસ્તકોનું આદાનપ્રદાન થયું છે. આ ‘પુસ્તક પરબ’માં પુસ્તકો ક્યાંથી આવે? તો લોકો અલગ અલગ પ્રસંગ જેમ કે જન્મ દિવસ, પૂણ્યતિથી, એનીવર્સરી કે અન્ય કોઈ ઇવેન્ટ નિમિત્તે પુસ્તક પરબને પુસ્તકો આપે છે એનાથી આ આયોજન થાય છે. લોકોને આગ્રહ છે કે આપણે કે આપણા સર્કલમાં આવી કોઈ ઇવેન્ટ હોય તો શક્ય હોય તો પુસ્તક પરબમાં પુસ્તકો આપીએ, જેથી વધુમાં વધુ લોકો સુધી એ પહોંચી શકે. એના માટે 99984 67291 પર સંપર્ક કરી શકો છો.
~ અમૃતબિંદુ ~
આ બ્લોગમાં એક વસ્તુની નોંધ કરજો કે અહીં કોઈનો નામજોગ ઉલ્લેખ કર્યો નથી. પછી ભલે તે પ્રમુખ હોય, સેક્રેટરી હોય, લેખક હોય કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે અન્ય કોઈ હોય. કેમ કે આવા આયોજનો આવા બધા ભારને નીચે મુકીને સહિયારી રીતે જ થતા હોય છે.