‘સિંહપુરુષ:વીર સાવરકર’


આવતી કાલે એટલે કે ’૨૮ મે’ વીર સાવરકરજી(28-05-1883_26-02-1966)ની જન્મજયંતિ.

થોડા મહિનાઓ પહેલા ‘ધૂમખરીદી’ વાળા મિત્ર ધર્મેશ વ્યાસે એકાદ પુસ્તકનો રીવ્યૂ (અને એ પણ વિડીઓમાં) આપવાનું કહ્યું, આળસ અને આ અગાઉ ક્યારેય આવી રીતે (એકલા પણ) જાહેરમાં બોલવાનો મહાવરો ન હોવાથી ટાળતો હતો પરંતુ ધમભા એ સંનિષ્ઠ પ્રયાસો કરીને આખરે કામ કઢાવ્યું, આખરે મેં ‘વિડીયો_રીવ્યૂ’ આપી દીધો પણ એની સાઈઝ 300+mb હતી.. ધમભાને કહ્યું હતું કે કમ્પ્રેસ કરીને પછી મૂકજો…. મને કાલે યાદ આવ્યું કે  ‘પુસ્તક-એ-ખાસ’માં ધમભા મુકવાના છે એ જો  આવતીકાલે સાવરકરજીની જન્મજયંતિ પર  મુકીએ તો વધુ યોગ્ય ગણાય અને એમની સાથે વાત થઇ તો તેઓએ એક દિવસ એડવાન્સમાં જ મૂકી દીધો અને એટલે હું પણ આજે જ આ બ્લોગ પોસ્ટ લખવા બેસી ગયો!

યુ ટ્યુબની લીંક  – https://www.youtube.com/watch?v=_CdgcVLKvKU

તેમજ ઘેર બેઠા એ પુસ્તક ‘સિંહપુરુષ’ મંગાવવા માટેની લીંક  –

http://www.dhoomkharidi.com/sinhpurush-veer-savarkar-ni-jindagi-par-aadharit-navalkatha

કોઈએ યુ ટ્યુબપર ન જવું હોય તો એ રીવ્યુની (ધમભા આપે પછી) WA ક્લિપ પણ મળી શકશે, જેના માટે મને +91 98252 25888 પર મેસેજ કરી શકો છો.

-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-

હવે જે વાત વિડીયોમાં કહી એ અને એના ઉપરાંત પણ થોડી ઘણી બીજી વાતો જે ત્રુટક ત્રુટક લખાઈ છે અને  બધું  સરખી રીતે સંપાદન-સંકલન થાય એવું લાગતું નથી એટલે કદાચ ખાસ જામે નહિ એવું બની શકે –

ઘણા સમય પહેલા વીર સાવરકર  લિખિત ‘૧૮૫૭ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ’ વાંચી હતી, ત્યારબાદ એક  (એફ્બી) ફ્રેન્ડ એ વીર સાવરકરની (ગોપાળરાવ ભાગવત દ્વારા અનુવાદિત)  ‘મારી જન્મટીપ’ વિશે પોસ્ટ મૂકી અને એમાં એમનું કહેવું હતું: “આથી કરૂણ પુસ્તક મેં હજુ સુધી વાંચ્યું નથી !” એટલે એકાદ વરસ પહેલા એમણે  પોતે લખેલી આત્મકથા ‘મારી જનમટીપ’ વાંચી, જેનાથી રૂંવાડા ઊભા થઇ જાય એવી એવી એમના પર વિપત્તિ પડેલ એ વાંચ્યું…. અને વાંચન દરમ્યાન હ્રદય દ્રવી ઉઠ્યું, સાથે સાથે ગ્લાની અને અપરાધભાવ થઇ ગયો કે સ્વાતંત્ર્ય ખાતર આવા આવા સંઘર્ષ વિશે આટલા વરસો બાદ હું વાંચું છું? !

અને ત્યારબાદ તરત વાંચી આ બૂક = ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’.

‘મારી જનમટીપ’માં તો સાવરકરજી એ એમના જીવન દરમ્યાનની વાત કરી છે પરંતુ આ ડૉ. શરદ ઠાકર લિખિત ‘સિંહપુરુષ’ માં તો એમના અવસાન બાદ પણ કેવા કેવા રાજકારણ રમાય છે એના પર લખ્યું છે અને એ રાજકારણ પરથી તો ડૉ. શરદ ઠાકરને આ ‘સિંહપુરુષ’ લખવાની પ્રેરણા મળી એના કરતા લખવાની ફરજ પડી એમ કહી શકાય.

‘મારી જન્મટીપ’માં દાયકાઓ પહેલાની ભાષા અને ઉપરથી અનુવાદ હોવાથી ‘સિંહપુરુષ’ વાંચવા માટે મન દ્રઢ થયું. અને જ્યારે ‘સિંહપુરુષ’ની પ્રસ્તાવના વાંચી ત્યારે થયું કે કોઈપણ લેખકના કોઈપણ પુસ્તક વાંચ્યા પહેલા જ અભિપ્રાય બાંધી લેવો એ ન તો માત્ર મુર્ખામી છે બલ્કે એમનો દ્રોહ પણ ગણાય!

હવે જયારે ‘સિંહપુરુષ’ વંચાય ગઈ ત્યારે એવા તારણ પર પહોંચ્યો છું કે દરેક દરેક ભારતીય, આમ તો (ગુજરાતીમાં હોવાથી) ગુજરાતીઓએ આ ‘સિંહપુરુષ’નું વાંચન ફરજીયાત કરવું જોઈએ જેથી જેઓના મનમાં અન્ય લોકોએ સાવરકરજી અંગે ખોટી ધારણા બંધાવી છે એનો છેદ ઉડી જાય અને ખ્યાલ આવે કે આ માણસ કેટલો બહુમુખી પ્રતિભાશાળી હતો!

ફેસબુક હોય કે રૂબરૂમાં મને જ્યાં પણ આ પુસ્તક વિશે વાત કરવાની થઇ છે, હું એક વાત ખાસ કહું કે આ વાંચ્યા પછી કમ સે કમ થોડા દિવસો માટે તો માનસિક અસ્વસ્થતા આવી શકે એવી તૈયારી રાખજો. કેમ કે સાવરકરજીને તો ૧૯૪૭ પછી એટલે કે સ્વતંત્રતા બાદ પણ જાણે કાળાપાણીની સજા સમાપ્ત ન થઇ. અને તેઓને સતત  અવગણવામાં આવ્યા અને છેલ્લે છેલ્લે તો ગાંધીજીની હત્યા કેસમાં પણ ‘ફિટ’ કરી દેવાનો પૂરો કારસો રચવામાં આવ્યો, જેમાંથી તેઓ આ કેસ સાથે સંકળાયેલ નથી એ સાબિત તો થઇ ગયું પણ સ્વાભાવિકપણે ત્યારબાદ ઘણા જ વ્યથિત અને વિક્ષિપ્ત થઇ ગયા હશે ! મને લાગે છે કે તેઓએ ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં જંપલાવ્યું અને કમનસીબે પકડાય ગયા  ત્યારે કે કાળકોટડીમાં એમના પર જે દમન ગુજારવામાં આવ્યું ત્યારે કે પછી પોતાના ભાઈઓ એ જ જગ્યાએ એટલે કે આંદામાનમાં છે એ ખબર પડી અને મિલન-મુલાકાત ન થઇ ત્યાં સુધી કે પછી એમના લાડકવાયાને ભગવાને છીનવી લીધો ત્યારે જે દુઃખ, જે દર્દ થયું હશે એનાથી વધુ ત્યારે થયું હશે કે એમની નિયત પર એમની દેશભક્તિ પર આવો કુઠારાઘાત?

આંદામાનમાં કાળાપાણીની તન-મન તોડી નાંખનાર સજા દરમ્યાન આત્મહત્યાના પણ વિચાર આવેલ પરંતુ તેઓ પર કુદરત અને આપણા તરફથી કહેર વરતાવવાનો હજી બાકી હશે કે આત્મહત્યાના વિચારને અમલમાં મૂકી શક્યા નહિ પણ ત્યાં ય શાંતિથી બેઠા ન રહ્યા કે ન તો રેંટીયો કાંતતા રહ્યાં. પણ     હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાની ધર્માંતર પ્રવૃત્તિ અટકાવી, સાહિત્ય તો રચ્યું પણ એને ઉતારવા માટે જેલમાં કોઈ સાધન ન મળતા તેઓ જેલની દીવાલો પર ખીલ્લીથી લખતા અને કંઠસ્થ કરતા રહ્યાં, સાથોસાથ અન્ય લોકોને અક્ષરજ્ઞાન આપતા આપતા લોકોને જેલમાં વાંચતા કર્યા, પુસ્તકાલય ઊભું કર્યું. તેઓ જેલમાં રહ્યાં પણ અન્ય લોકોને છોડાવવા એમનો ‘કેસ લડ્યા’, એ ધારત તો શરણાગતિ સ્વીકારીને આઝાદ થઇ શક્યા હોત, કરોડો જ નહી કદાચ અબજો રૂપિયા પણ કમાઈ શક્યા હોત, આમ પણ ‘સિંહપુરુષ’ અમથા થોડા કહેવાયા છે? એમની દુરંદેશી પણ ગજબની હતી, તેઓએ ભારતના ભાગલા અને કાશ્મીરની વિશે જે ભવિષ્ય ભાખ્યું એ કમનસીબે ગાંધી-નેહરુની ટૂંકી દ્રષ્ટી તેમજ નબળા મનને લીધે સાચું પડ્યું.

એમ તો હજી આજે પણ એવી ભ્રમણા ફેલાવવામાં આવે છે કે તેઓએ જેલમાંથી છૂટવા બ્રિટીશ સરકારને ઘૂંટણીયે પડેને અરજી કરી !! પણ એ હકીકતમાં કેટલું અને કેવું સત્ય છે એ જાણવા આ વાંચવું જોઈએ એવો મારો મત તેમ જ આગ્રહ છે.

તેઓ એવા વ્યક્તિ ન હતા કે  સોચ્યા-સમજ્યા વગરની મારી નાંખું ફાડી નાંખું વાળી વાતો કરે, તેઓ એવા પણ ન હતા કે મુસ્લિમોનો વિરોધ જ કરતા કે એમના પર દ્વેષ જ રાખતા, તેઓ ધાર્મિક પણ ન હતા તેઓ સાચા રેશનલીસ્ટ હતા, તેઓ જિન્હાની જેમ ગાંધીના તેજોદ્વેષી ન હતા, તેઓ ખાલી બીજાને જ ઉક્સવતા એવું ન હતું પણ તેઓના આખા પરિવાર જેમાં એમના પત્ની, બાળક, ભાભી બધા એ જીવનપર્યંત કષ્ટ અને ઉપેક્ષા સહન કર્યા છે,

મને ખબર નથી પણ લાગે છે કે બહું ઓછા અથવા તો આ  કદાચ એક માત્ર પરિવાર એવો હોય શકે કે જેના ત્રણ ત્રણ ભાઈઓ એક સાથે જેલમાં હોય, ઉપરાંત આંદામાનની કાળાપાણીની સાથે સાથે સજા કાપતા હોવાછતાં એકબીજાની હાજરી સુધ્ધાંની જાણ ન હોય!  તેઓ કવિતા રચતા, લેખ લખતા, પ્રવચન આપી શકે અને સમય આવ્યે કુશ્તી પણ લડી શકતા સાથે સાથે કાયદાનું જ્ઞાન સારી રીતે જાણી અને પચાવી શકનાર હતા, તો ફ્રાંસના માર્સેલ્સના દરિયામાં કુદી પણ શકયા.

ખાસ ગેરસમજ તો એમના છૂટવાની વિશેની છે તથા ગાંધી વિરોધી તેમજ ગાંધી હત્યામાં સામેલગીરીની અને કટ્ટરહિંદુ વાદી તરીકેની છે જે દૂર કરવા પણ  લોકોએ આ પુસ્તક વાંચવું જરૂરી બની જાય છે.

‘મહામાનવ : સરદાર’ અને  ‘વીર સાવરકર’ જેવા પુસ્તકો વાંચ્યા બાદ અસમંજસમાં છું કે એ દેશ પર ગર્વ કરું જ્યાં કૃષ્ણ, વિવેકાનંદ, શંકરાચાર્ય, કબીર, ચાણક્ય જેવા આધ્યાત્મિક અને સરદાર, સાવરકર, ભગતસિંહ, મદનલાલ ઢીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, સુભાષબાબુ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, ચાફેકર બંધુઓ, તાત્યાટોપે, મેડમ કામા અને કેટલાય અનગિનત યોદ્ધાઓ  જન્મ્યા એના પર ગર્વ કરું?

કે પછી

(મારા સહીત) આપણા જેવા દંભી, કાયર અને કદરકૂટ્યા પ્રજાજનો તેમજ નેતાગીરી પર અફસોસ અને ગ્લાની અનુભવું?

વંદેમાતરમ …. જય હિન્દ…. ભારત માતાની  જય

~ અમૃત અશ્રુ બિંદુ ~

થોડા વરસો  પહેલા અશ્વિની ભટ્ટ દ્વારા freedom at midnightનો અનુવાદ પામેલ ‘અર્ધી રાતે આઝાદી’માં વાંચેલું

   “ઘણા ઓછા અનુયાયીઓને ખબર હશે કે વીર સાવરકર સજાતીય સંબંધમાં દિલચસ્પી રાખતા.”

^
આ વાંચ્યું હતું  ત્યારે વીર સાવરકર વિશે વાંચ્યું ન હતું  પણ સવાલ તો થયો કે અંગ્રેજો દ્વારા લખાયેલ (સાચા-ખોટા) ઈતિહાસ અને ફ્રીડમ ફાઈટરનાં ચરિત્રને આવનાર પ્રજા સમક્ષ મૂકવું એ ચરિતર પણ ઓળખવું જોઈએ.

4 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય, Nation, politics, Reading

4 responses to “‘સિંહપુરુષ:વીર સાવરકર’

  1. ડો. શરદ ઠાકરનું આ પુસ્તક ઘણા દિવસોથી વિશલીસ્ટ’માં છે , એ હવે તાબડતોબ લેવામાં આવશે [ અને તેમનું ‘એકલો જાને રે’ પુસ્તક પણ અને ડો.શ્રી એચ.એલ.ત્રિવેદીનું આત્મકથાનક પણ ]
    (વચ્ચે એક આખો ફકરો બીજી વાર મુકાઈ ગયો છે , રજનીભાઈ.)

    • rajniagravat

      ઓહ હા… એ સુધારી લીધું . થેન્કયુ નિરવ.
      એક્ચ્યુલી, ઘણા સમયથી ટૂકડે ટુકડે આ લખતો હતો પણ પોસ્ટ મૂકી શક્યો ન હતો… અને અચાનક આ તારીખ વિશે ખ્યાલ આવવાથી બધા ટુકડા ભેગા કરીને મૂકી દીધા!
      થેન્ક્સ અગેઇન 🙂

  2. પિંગબેક: સરદારસિંહ રાણા | એક ઘા -ને બે કટકા

  3. એક રિક્વેસ્ટ કરું છું જો આવા કોઈ મહાન ક્રાંતિવીર ની પુસ્તક સોફ્ટ કોપીમાં હોય તો જરૂર શેર કરજો કેમકે દેશ-વિદેશમાં રહેતા દરેક લોકોને હાર્ડ કોપી મળી શકતી નથી અને આ ઈતિહાસ છે જે દરેક હિંદુ લોકો સુધી પહોંચાડવો આ જમાનામાં અતિ જરૂરી છે અને ખાસ કરીને દરેક વિદ્યાર્થી બંધુઓ સુધી પહોંચે એનો આગ્રહ રાખવો જોઈએ જય હિંદ ભારત માતાકી જય અને સિંહ પુરુષ એવા વીર સાવરકર ને સત સત નમન.

Leave a comment