ભાગ્યમાં ના માનનારા પણ એટલું તો માની જ લ્યે કે સારા નસીબવાળાને જ સારા ડૉ મળે. મને અંગત રીતે તો બે બનાવ બાદ કરતા હંમેશા સારા ડૉ. જ મળ્યા છે ( જો કે જે મેં બે બનાવો બાદ કરવાનું કહ્યું એ કદી બાદ ના થઇ શકે એટલા દુઃખદ છે)
ખેર એ તો થઇ વર્ષો પહેલાની મારી વાત, પણ વહેલી સવારે ૪ વાગ્યે મારા પડોશી મિત્રનાં પત્નીનો ફોન આવ્યો કે એમના પતિને ચેસ્ટ પેઈન થાય છે અને કલાકથી હેરાન થાય છે, પણ હવે વધુ પડતો દુઃખાવો થતો હોવાથી હવે હોસ્પિટલ લઇ જવા છે.
અમારા એરિયામાં, અમારા ઘરની આજુબાજુમાં ત્રણ હોસ્પિટલ્સ છે જેમાંની એક ડૉ.બબિતા અગરિયાની (MD) હોસ્પિટલ છે અને મારા મિત્ર તેમજ એમના અન્ય રીલેટીવ્સ પણ અક્સર એમની જ ટ્રીટમેન્ટ લેતા હોય છે. ત્યાં ગયા, અને સ્ટાફને કહ્યું કે આવી રીતે પેઈન છે ડૉ ને બોલાવો તેમ જ ફલાણી વ્યક્તિ છે એમ કહેજો…. સ્ટાફનો માણસ મોબાઈલ લઇ બાજુના રૂમમાં ગયો, અને પાછો આવીને કહે કે ડૉ કહે છે આ પેશન્ટને સહ્યાદ્રી માં લઇ જાઓ, અમે એમને કહ્યું કે ડૉ. ને નામ આપો યા તો અમને નમ્બર આપો અમારે એમણે કહેવું છે “અહી આજુબાજુમાં ત્રણ-ત્રણ હોસ્પિટલહોવા છતાં પણ ‘લાઇફ્લાઇન’ કે ‘સહ્યાદ્રી’ માં ના લઇ જતાં અહી જ એટલે આવ્યા કે તમારા પાસેથી રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવી છીએ અને તમને આ ભાઈ વિશે પણ ખ્યાલ છે.” તો પણ સ્ટાફનો માણસ અમને ડરાવવા કહે, “તમે આ બધી લપ અત્યારે ના કરો પેલી હોસ્પિટલમાં લઇ જાવ, પછી તમારે જે કહેવું કે કરવું હોય તે સવારે આવીને કહેજો/કરજો” ! ! !
ત્યારે તો અમારે ત્યાંથી જવું પડે એમ જ હતું એટલે જતાં રહ્યાં પણ હદ છે યાર! કોઈ લાજ-શરમ જેવી ચીજ જ નહિ? કદાચ બક્ષી કે કોઈના લેખમાં વાંચ્યું હતું એ સાચું જ છે જેમાં એમણે એમના સંબંધીનાં યુવાનને ટાંકીને લખ્યું હતું – “અંકલ! માત્ર પાંચ હજારનો જ ખર્ચો થાય, આવા ડૉ નાં ટાંગા ભંગાવવાના.” આપણે પણ અવાર-નવાર છાપામાં વાંચતા જ હોઈએ છીએ કે ડૉ ને માર પડ્યો. તો બરાબર જ છે, સામાન્ય રીતે દરેક દર્દી આમને ભગવાન ગણતા હોય છે અને આ લોકો તો કસાઈની જેમ નિર્લેપભાવે આપણા ખિસ્સા, ગળા કાપવામાં તૈયાર જ બેઠા હોય તો યે ચલાવી લઈએ પછી ક્યારેક તો કોઈ માણસ મગજ ગુમાવે ને?
આમ પણ મેં નોંધ્યું છે કે ડૉ., વકીલ, રાજકારણી, મીડિયા, પોલીસ તેમજ શિક્ષણ વિભાગ સાંથે સંકળાયેલ વ્યક્તિ જ્યારે પણ પોતાના ફિલ્ડમાં આવે ત્યારે પોતાની સંવેદના તો ઠીક માણસાઈ પણ જવા દ્યો પણ પોતાની કાયદેસરની ફરજ પણ ફિક્સ ડીપોઝીટ વોલ્ટ માં મૂકી ને આવતા હોવા જોઈએ!
એ તો સારું થયું કે અમારા મિત્રને એમના અને અમારા બધાનાં અનુમાન મુજબ ગેસ ટ્રબલ જ હતી અને રાહત પણ થઇ પરંતુ ત્યારપછી અમારા વચ્ચે ચર્ચા થઇ એમાં –
૧ = કદાચ ડૉ.એટલે ના આવ્યા હોય કે એમને એમ હોય કે આ હાર્ટએટેક કેસ હોય અને કદાચ ટ્રીટમેન્ટ બે-અસર રહે અને મારા માથે કાલી ટીલી લાગે તો?
મારી દલીલ = જો એમ હોય તો પણ એમની સૌ પ્રથમ ફરજ છે કે કમ સે કમ પોતાના ઘરમાંથી નીચે ઊતરે, પેશન્ટને તપાસે, પ્રાથમિક સારવાર આપે અને પછી બીજે રવાના કરે.
૨ = ડૉ. ડરી ગયા હશે કે પેશન્ટને તપાસ તો કરીયે અને મારા પર બધું આવી જાય તો?
મારી દલીલ = તો પણ ખોટું જ છે, ઇલેક્ટ્રિક રીલેટેડ તમે ગમે એવા શીખાઉને બોલાવો અને એનો પન્નો ટૂંકો પડતો હોય તો પણ એ ખાલી સ્વિચ ઓન કે ઓફ કરવામાં ડરે તો એની વિદ્યા શું કામની?
~ અમૃતબિંદુ ~
“મને નાનપણથી જ સુથારીનો બહુ શોખ છે. વખત મળે કે લાકડું લઇ હું ઘડવા બેસું અને જેવા ઘાટ ઘડવા હોય તેવા ઘડી શકું છું. એમાં મારાં આંખ ને હાથ એવા કેળવાઈ ગયા છે કે જે બનાવવું હોય તે સહેજે બનાવી શકું છું. આ શક્તિ હું ‘સર્જરી’ શીખવા ગયો ત્યારે મને ખૂબ જ કામ લાગી. લાકડા જેવી સખ્ત વસ્તુમાંથી જોઈએ તેવું હું ઘડી શકું, એટલે પછી શરીરના વાઢકાપનું તો શું પૂછવું?”
^
મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ગાંધી-ગંગા’(ભાગ-૨) માં શંકર બેંકરે એક આંખ સાચી અને એક આંખ ખોટી વાળા ડૉ કર્નલ મેડોક એ ૧૯૨૪માં ગાંધીજીનું એપેન્ડીસાઈટીસનું ઓપરેશન કરેલું એ પ્રસંગ