જેને તમે પાર્લામેન્ટની માતા કહો છો તે પાર્લામેન્ટ તો વાંઝણી છે અને વેશ્યા છે. આ બન્ને શબ્દો આકરા છે, છતાં બરોબર લાગુ પડે છે. મેં વાંઝણી કહી, કેમ કે હજુ સુધી પાર્લામેન્ટે પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તેની ઉપર જોર કરનાર કોઈ ન હોય તો તે કંઈ જ ન કરે અને તેની સ્થિતિ સ્વાભાવિક રીતે છે. અને તે વેશ્યા છે, કેમ કે તેને જે પ્રધાનમંડળ રાખે તે પ્રધાન-મંડળની પાસે તે રહે છે.
…. પાર્લામેન્ટના મેમ્બરો આડંબરીયા અને સ્વાર્થી જોવામાં આવે છે. સૌ પોતપોતાનું ખેંચે છે. માત્ર ધાસ્તીને લીધે જ પાર્લામેન્ટ કંઈ કામ કરે છે.આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે. એકપણ વસ્તુ પાર્લામેન્ટે ઠેકાણે પાડી હોય એવો દાખલો જોવામાં આવતો નથી. મોટા સવાલોની ચર્ચા જ્યારે ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા ઝોલાં ખાય છે. તે પાર્લામેન્ટમાં એવા બરાડા પાડે છે કે સાંભળનારા કાયર થઈ જાય છે.
કાયદા આપણને પસંદ ન હોવા છતાં તે પ્રમાણે ચાલવું એવું શિક્ષણ મર્દાઈથી વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે ને ગુલામીની હદ છે.
સરકાર તો કહેશે આપણે નાગા થઈને તેમની પાસે નાચવું. તો શું આપણે નાચીશું?
‘હિંદ સ્વરાજ’ નો જન્મ થયો ગાંધીજીની ચાળીસ વરસની ઉંમરે.૧૩ નવેમ્બર ૧૯૦૯ના રોજ “ક્લીડોન કેસલ” નામક જહાજ દ્વારા ગાંધીએ દક્ષિણ આફ્રિકા પાછા ફરવા જ્યારે ઇંગ્લેન્ડનો કિનારો છોડ્યો ત્યારે એમની સમસ્ત ચેતના તીવ્ર પ્રસવ-વેદનાની અનુભૂતિ કરી રહી હતી. માત્ર દસ દિવસમાં (તા. ૧૩ થી ૨૨ નવેમ્બર ૧૯૦૯) તે પુસ્તક લખાઈ ગયું. જમણા હાથે થાકી ગયા,ત્યારે ડાબા હાથે લખ્યું.
~ અમૃતબિંદુ ~
(આ પોસ્ટમાં મારા શબ્દો ન મૂકવા એ વધુ યોગ્ય લાગ્યું.)









1















![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





